બોડેલી,(છોટા ઉદેપુર) ઈમ્તિયાઝ મેમણ :-
છોટાઉદેપુર જિલ્લા સહીત ગુજરાતમાં તૌકતે વાવાઝોડાએ વિનાશ વેતર્યો છે.જેમાં સૌથી મોટી તારાજી ખેડૂતોના તૈયાર થયેલ પાકને થવા પામી છે.બોડેલી તાલુકાના ચલામલી પંથકમાં વાવાઝોડાથી ખેડૂતોએ આખા વર્ષ દરમિયાન કેળના પાકમાં ખાતર,પાણી,મહેનત કરી મહામૂલો પાક તૈયાર થતા ખેડૂતોના મોમાં આવેલો કોળિયો તૌકતે વાવાઝોડાએ છીનવતા ખેડૂતોનો તૈયાર થયેલો ઉભો પાક જામીનદોષ થતા ખેડૂતોને ભારે નુકશાન થવા પામ્યું છે.દેવાના ડુંગર તળે દબાયેલા ખેડૂતો વધુ દેવાદાર બનવા પામ્યા છે.ગત વર્ષે કોરોના મહામારીમાં સરકારે કરેલ લોકડાઉનમાં ખેડૂતોને ભાવ ન મળતા તેઓ ભારે આર્થિક મુશ્કેલીમાં મુકાયા હતા.લોકડાઉનમાં ખેડૂતો માટે સરકારે કોઈ રાહત પેકેજ જાહેર ન કરતા ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થવા પામ્યા હતા.આ વર્ષે ખેડૂતોને બાગાયત ખેતી કેળમાં શરૂઆતથી જ સિંગાટોકા નામના વાઇરસનો એટેકથી વધુ ખર્ચ કરી કેળના પાકને બચાવ્યો હતો.ગત વર્ષની નુકશાની સરભર કરવા આ વર્ષે ખેડૂતોએ ખર્ચ અને મહેનત કરી હતી.કેળના પાકનું ઉત્પાદન શરુ થવાના સમયે કુદરતી આફત આવતા ખેડૂતોના માથે જાણે આભ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.તૈયાર થયેલ કેળનો પાક તૌકતે વાવાઝોડામાં થડ સાથે જામીનદોષ થતા ભારે નુકશાન થવા પામ્યું છે.ગુજરાત સરકારે બાગાયત પાકમાં સર્વે કરી નુકશાની ચુકવવાની જાહેરાત કરી છે.પરંતુ હજુ સુધી છોટાઉદેપુર જિલ્લા વહીવટીતંત્ર ઘ્વારા કોઈ સર્વે હાથ ધરવામાં ન આવતા ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે.ચોમાસામાં નવી સીઝનની ખેતી માટે ખેડૂતને વહેલીતકે આર્થિક સહાય ચુકવવામાં નહિ આવે તો ખેડૂત અન્ય પાક તરફ વળશે તેવું ખેડૂતો તરફથી જાણવા મળ્યું છે.હાલમાં ખેડૂતોની માંગ છે કે વાવાઝોડાથી થયેલ નુકશાનનું સર્વે વહેલીતકે કરાવી સહાય ચુકવવામાં આવે.આમ છોટાઉદેપુર જિલ્લામાં બાગાયત ખેતી કેળના પાકને ભારે નુકશાન થતા ખેડૂતોની હાલત કફોડી બની છે.