મત ગણતરીના દિવસે છોટાઉદેપુર સંસદીય મતવિસ્તારના મત ગણતરી કેન્દ્રને અનુલક્ષીને લાગુ કરાયેલા પ્રતિબંધો

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ અંતર્ગત તા.૦૭/૦૫/૨૦૨૪ ના રોજ મતદાન તથા તા.૦૪/૦૬/૨૦૨૪ ના રોજ મત ગણતરી હાથ ધરાનાર છે. જે અંતર્ગત ૨૧- છોટાઉદેપુર (અ.જ.જા) સંસદીય મતવિસ્તારની મતગણતરી સરકારી પોલીટેકનીક કોલેજ, છોટાઉદેપુર ખાતે તા.૦૪/૦૬/૨૦૨૪ ના રોજ સવારના ૦૮-૦૦ કલાકથી શરૂ થઈ મતગણતરી પૂરી ન થાય ત્યાં સુધી ચાલુ રહેનાર છે.

મતગણતરીના દિવસે મતગણતરી કેન્દ્ર ઉપર જુદા જુદા પક્ષના લોકો, ટેકેદારો, કાર્યકરો એકઠા થાય ત્યારે એકબીજા વચ્ચે સંઘર્ષ થવાની સંભાવના રહેલ છે, જેથી મતગણતરીની પ્રક્રિયામાં ખલેલ પહોંચતી અટકાવવા માટે મતગણતરી સરળ અને શાંતિપૂર્ણ રીતે થાય, કોઈ અનિચ્છનીય બનાવ ન બને, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે, મતગણતરીમાં કોઈ અવરોધ પેદા ન થાય તે માટે જાહેરહીતમાં કેટલાક નિયંત્રણ મુકવા જરૂરી હોઈ જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી અનિલ ધામેલિયાએ કેટલાક પ્રતિબંધો મુક્યા છે.

જે મુજબ તા.૦૪/૦૬/૨૦૨૪ ના રોજ મતગણતરી કેન્દ્રની આજુબાજુના ૨૦૦ મીટરના વિસ્તારમાં ૪ (ચાર) કરતાં વધુ માણસો ભેગા થવું નહિ તેમજ ઉપરોક્ત સ્થળોએ મતગણતરીના કામ માટે ઉપયોગમાં લેવાનાર મકાન તથા કંપાઉન્ડની અંદર બિનઅધિકૃત વ્યક્તિ/વ્યક્તિઓએ પ્રવેશ કરવો નહી.

લોક પ્રતિનિધિત્વ અધિનિયમ- ૧૯૫૧ ની કલમ- ૫૦ ની જોગવાઈ મુજબ દરેક હરીફ ઉમેદવારને તેઓ સંસદસભ્ય/વિધાનસભાના સભ્ય હોય કે ન હોય મતગણતરી ખંડમાં હાજર રહેવાનો અધિકાર છે પરંતુ તેમની સાથે સશસ્ત્ર સલામતી રક્ષકો હોય તો તેઓ શસ્ત્રો સાથે મતગણતરી ખંડમાં પ્રવેશે નહિ તે શરતે અને તેઓ મતગણતરી ખંડમાં તેઓની સ્વેચ્છાએ તેઓની સલામતી કવચ પરત કરીને બેસશે. આમાં ફક્ત એસપીજી સુરક્ષિત ઉમેદવાર જ અપવાદ રહેશે.

ચૂંટણી પંચ દ્વારા મતગણતરી કેન્દ્રમાં પ્રવેશ માટે આપેલ અધિકાર પત્ર ધરાવતા પત્રકારો પ્રવેશ કરી શકશે, પરંતુ મતગણતરી હોલમાં પ્રવેશ કરવાનો નથી તથા રાજકીય પક્ષનું નામ, પ્રતિક કે સુત્ર સાથેની ટોપી, સાલ વિગેરે જેવા પહેરવેશ સહિત મતગણતરી કેન્દ્રમાં – પ્રવેશ કરવા ઉપર પ્રતિબંધ છે સાદી ટોપી પહેરી શકાશે.

આ જાહેરનામું લોકસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૪ ની મતગણતરીની કામગીરીમાં રોકાયેલ ચૂંટણી અધિકારીશ્રીઓ તથા મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીઓ તેમજ તેમની સાથે ફરજ પર રોકાયેલ અન્ય અધિકારીશ્રી અને કર્મચારીશ્રીઓ, કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે ફરજ ઉપર મુકાયેલ પોલીસ અધિકારી/કર્મચારીઓ તથા હોમગાર્ડ, ચૂંટણીના ઉમેદવારો તથા તેમના અધિકૃત ચૂંટણી એજન્ટો, મતગણતરી માટે ઉમેદવાર તરફથી નિયુક્ત મતગણતરી એજન્ટ કે જેમને સંબંધિત ચૂંટણી અધિકારીશ્રી તરફથી પ્રમાણિત કરવામાં આવેલ હોય, રાજ્ય ચૂંટણી પંચ દ્વારા અધિકૃત કરવામાં આવે તેવા અધિકારી/વ્યક્તિને તથા જિલ્લા મેજિસ્ટ્રેટ/અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, છોટાઉદેપુર દ્વારા અધિકૃત કરવામાં આવે તેવા અધિકારી/વ્યક્તિને લાગુ પડશે નહીં.

આ હુકમ તા.૦૪/૦૬/૨૦૨૪ ના રોજ સવારના ૦૮-૦૦ કલાકથી મતગણતરી પૂર્ણ થયા સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ કાયદાની જોગવાઈ મુજબ શિક્ષાને પાત્ર થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here