નસવાડી, (છોટાઉદેપુર)/જાવેદ એન કુરેશી :-
આ રેલીનો પ્રારંભ રતનપુર(ક)થી શરૂઆત કરી છેલ્લે કુંડા ગામે સમાપન કરવામાં આવ્યુ હતુ
ઉડાન જનવિકાસ દ્વારા નસવાડી તાલુકામાં ૨૦૧૬ થી કામગીરી થઈ રહી છે. જેમાં અંતરિયાળ વિસ્તારના ૪૦ ગામોમાં RTE ના કાયદાનું અસરકારક અમલીકરણ થાય અને બાળકોને ગુણવતાવાળું, સુવિધાવાળું અને સમાવેશી શિક્ષણ મળે તે માટે સ્થાનિક સ્તરે શિક્ષણના આગેવાન,શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો,શિક્ષણ સાથે જોડાયેલા અધિકારીઓ અને વિભાગો સાથે મળીને શિક્ષણ જાગૃતિ માટે કાર્ય થઈ રહ્યું છે.
નસવાડી તાલુકાના ૪૦ વિસ્તારમાં શિક્ષણ ના મુદ્દા પર રસ ધરાવતા એવા સ્વેચ્છિક આગેવાનોની ૨૫ સભ્યોની શિક્ષણ જાગૃતિ સમિતિ બનાવવામાં આવી છે. આ સમિતિમાં વિસ્તારના સ્થાનિક સ્તરે શિક્ષણમા રસ ધરાવતા સ્વૈચ્છીક આગેવાનો, એસ.એમ.સી.સભ્યો, વાલીઓ, શિક્ષણવિદ, સ્થાનિક શિક્ષણના મુદ્દા પર કામ કરતી સંસ્થાઓના સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં એકલ અભિયાન ના સભ્યો પણ આ રેલીમાં જોડાયા હતા.
હાલમા નવી શિક્ષણ નીતિને નો અમલ થવા જઈ રહ્યો છે ત્યારે બાળકો આંગણવાડી થી લઈને હાઈસ્કૂલ સુધી (એટલે કે ૩ થી ૧૮ વર્ષ સુધી) શિક્ષણ મેળવે અને ખાસ કરીને બાળકો ડ્રોપઆઉટ ન થાય અને નિયમિત શાળાએ જાય અને કન્યાઓના શિક્ષણ પર વાલીઓ એક સમાન ધ્યાન આપે તે માટે શિક્ષણ જાગૃતિ સમિતિના માધ્યમથી અવારનવાર ઝુંબેશ હાથ ધરવામાં આવે છે.
આજરોજ સમિતિના માધ્યમથી નવી શિક્ષણનીતિ વિશે વાલીઓને માહિતગાર કરવા, બાળકોના પ્રવેશ, નિયમિતતા, અને ડ્રોપઆઉટ બાબતે વાલીઓમાં જાગૃતતા આવે અને શાળા સત્ર શરૂ થાય ત્યારે એસ.એમ.સી.ની પુનઃ રચના શિક્ષણ વિભાગના પરિપત્ર મુજબ થાય તે બાબતે વિવિધ ગામોના વાલીઓ, SMC ને માર્ગદર્શન અને ટેકો પૂરો પાડવામાં આવ્યો હતો.
રેલીમાં વિવિધ ૧૧ ગામોના કુલ ૧૪ સભ્યો જોડાયા હતા અને ૫ ગામોમાં રેલી અને મિટિંગ કરી ઉપરોક્ત મુદ્દાઓ સંદર્ભે વાલીઓને માહિતીગાર કરવામાં આવ્યા.