નર્મદા કલેકટરે “અવસર રથ” ને લીલી ઝંડી આપી કરાવ્યું પ્રસ્થાન…

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

જિલ્લા વિકાસ અધિકારી અંકીત પન્નુ અને જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે સહિત જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ પણ પ્રસ્થાનવિધિમાં જોડાયાં

અચૂક મતદાન માટેની સીગ્નેચર ઝુંબેશમાં જિલ્લા ચૂંટણી અધિકારી કલેક્ટર સહિતના વરિષ્ઠ સનદી અધિકારીઓ અને કર્મચારીઓએ પોતાના હસ્તાક્ષર કરી અચૂક મતદાનના લીધા સામૂહિક શપથ

હું વોટ કરીશ” એવા સિગ્નેચર કેમ્પેઇન સાથેનો “અવસર રથ” જિલ્લાના નાંદોદ અને દેડીયાપાડા વિધાનસભા મત વિસ્તારમાં બે દિવસ ફરીને મતદાન જાગૃતિ માટે કરશે વિશેષ પ્રયત્નો

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ માં મતદાનની ટકાવારી વધારવાની સાથે, જિલ્લાના નાગરિકો ઉત્સાહભેર મતદાન કરવા પ્રેરાય એવા ઉદ્દેશથી જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયા દ્વારા આજે રાજપીપલા કલેક્ટરાલય ખાતેથી અવસર લોકશાહીનો અભિયાન અંતર્ગત ધોડેશ્વાર-મોટરસાઇકલ સાથેના પોલીસ જવાનો સાથેના “અવસર રથ” ને લીલી ઝંડી ફરકાવીને પ્રસ્થાન કરાવ્યુ હતું. આ “અવસર રથ” પ્રસ્થાન વિધિમાં એક્ષપેન્ડીચર મોનીટરીંગના ચીફ કો-ઓર્ડીનેટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે સહિત જિલ્લાના વરિષ્ઠ અધિકારીશ્રીઓ વગેરે જોડાયાં હતાં. આ પ્રસંગે અચૂક મતદાન માટેની સીગ્નેચર ઝુંબેશમાં જિલ્લાના વરિષ્ઠ સનદી અધિકારીશ્રીઓ અને કર્મચારીઓએ રથ સાથેના કેન્વાસ ઉપર પોતાના હસ્તાક્ષર કરી અચૂક મતદાનના સામૂહિક શપથ લીધા હતાં.

જિલ્લાના તમામ મતદાન મથકોના મતદારો જાગૃત થાય અને મોટી સંખ્યામાં નાગરિકો મતદાન માટે પ્રોત્સાહિત થાય તથા લોકશાહીના પર્વમા ભાગીદાર બને તે માટે ‘મિશન-૨૦૨૨’ હાથ ધરવામા આવ્યું છે. હું વોટ કરીશ એવા સિગ્નેચર કેમ્પેઇન સાથે આ વિસ્તારોમા અવસર રથ ફરશે અને મતદાન જાગૃતિ માટે વિશેષ પ્રયત્નો કરશે.

આ અવસરે નિવાસી અધિક કલેક્ટર સી.એ.ગાંધી, સંખ્યાધિક અધિક કલેકટર સી.એલ.પટેલ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી સુશ્રી જીજ્ઞાબેન દલાલ, નાયબ કલેકટર શ્રીમતી તૃપ્તિબેન નિનામા, ચૂંટણી શાખાના મામલતદાર શ્રીમતી કનકલતાબેન ઠાકર, સ્વીપના નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારી એમ.સી.ભૂસારા સહિત જિલ્લાના અન્ય અધિકારીશ્રીઓ/કર્મચારીશ્રીઓ વગેરેએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને અચૂક મતદાન કરવા અંગેની સીગ્નેચર ઝુંબેશમાં તેમના હસ્તાક્ષર કર્યાં હતાં.

ઉલ્લેખનીય છે કે, નર્મદા જિલ્લામાં પધારેલા અવસર રથના માધ્યમથી તા.૧૪ અને તા.૧૫ મીના રોજ બે દિવસ દરમિયાન જિલ્લાની નાંદોદ અને દેડીયાપાડા વિધાનસભા બેઠકના વિસ્તારના તાલુકાઓના લો વોટર્સ ટર્ન આઉટ ધરાવતા મતદાર ક્ષેત્રમા લોકશાહીના આ અમૂલ્ય અવસર અંગે જનજાગૃતિ કેળવવામા આવશે.

જિલ્લા કલેક્ટરાલય ખાતેથી વિવિધ વિસ્તારોમાં ભ્રમણ અને મતદાનની અપીલ અર્થે રવાના થયેલો “અવસર રથ” નાંદોદ તાલુકાની વડીયા પ્રાથમિક શાળા ખાતે આવી પહોંચ્યો હતો. જ્યાં જિલ્લા શિક્ષણાધિકારી એમ.સી.ભૂસારા તેમજ શાળાના અન્ય શિક્ષકો અને વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં શાળાની બાળાઓ દ્વારા કુમકુમ તિલક કરી “અવસર રથ” નું સ્વાગત કર્યું હતું. આ રથ ગામના જુદા જુદા ફળીયામાંથી પસાર થતા ગ્રામજનોએ રથ ઉપરના કેન્વાસમાં પોતાની સહી કરી મતદાનના દિવસે અચૂક મતદાના કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ આ અવસર રથ આગળના નિયત રૂટ માટેના વિસ્તારોમાં જવા માટે રવાના થયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here