દાહોદ, સાગર કડકિયા :-
પાણીની ટાંકી ખસેડી લીધા બાદ પ્લાસ્ટર જેસીબીથી તોડી પડાયુ હતું.
ગોવિંદ નગર ચોકમાં પાલિકાએ જ મુકેલી પાણીની ટાંકી દબાણ ઝુંબેશમાં દૂર કરાતા સમસ્યા
સમસ્યા નિવારવા 15 વર્ષ પહેલાં ટાંકી મુકાઇ હતી : 4 દિવસે પાણી આવતાં હાલાકી
દાહોદમાં સ્માર્ટસિટી અંતર્ગત દબાણ હટાવ ઝુંબેશમાં પાલિકા હસ્તકની દુકાનો તો તોડી પડાઇ છે પરંતુ ગોવિંદ નગર ચોકમાં મુકાયેલી સ્લમ વિસ્તારની જીવાદોરી ગણાતી પાણીની ટાંકી પણ છોડી નથી. ટાંકી દૂર કરાતા 150 પરિવારોને પાણી માટે ભટકવાનો વારો આવતાં રોષ ફેલાયો છે. સ્લમ વિસ્તારની સમસ્યા નિવારવા બોર કરીને પાલિકાએ જ આ ટાંકી મુકી હતી. દાહોદમાં ભીલવાડા, હાઉસિંગ બોર્ડ તેમજ આસપાસના વેપારીઓને પાણીની સમસ્યા પડતાં તેમની માટે ગોવિંદ નગર ચોકમાં પાલિકા દ્વારા બોર કરાવીને એક મોટી ટાંકી મુકી હતી. પાલિકા દ્વારા જ વીજળીની વ્યવસ્થા પુરી પાડી હતી.
આ પાણીની ટાંકીથી આસપાસના લોકોને પાણીની રાહત તો હતી સાથે નજીકમાં બનાવેલી કુંડીથી પશુઓની પણ તરસ બુઝાતી હતી. દબાણ હટાવ ઝુંબેશમાં માણેક ચોકના ઢાળથી માંડીને મંડાવ રોડ સુધી શાળા, સરકારી કચેરીઓ, બગીચા, ડીડીઓ ના નિવાસ્થાનને ઢાંકતી દિવાલો દૂર કરી દેવાઇ છે. ત્યારે આગળ વધી ગોવિંદ નગર ચોકમાં મુકેલી આ ટાંકી પણ દૂર કરવાનો આદેશ કર્યો હતો. જેથી ટાંકી સલામત કાઢી લેવાઇ હતી. 3 કે 4 દિવસે એક વખત પાણી આવે છે.
ભીલવાડા વિસ્તારમાં 160 જેટલા પરિવારો રહે છે. હાઉસિંગ સોસાયટી અને આસપાસના વેપારીઓને પણ ટાંકી ઉપયોગી હતી. ખાસ સ્લમ વિસ્તારમાં લોકોને ત્યાં પાણી સ્ટોરેજની કોઇ સુવિધા નથી ત્યારે આ ટાંકી ખસી જતાં લોકોને પાણી માટે ભટકવું પડી રહ્યું છે. પાણીની ટાંકીની ઉપયોગિતા જાણ્યા વગર અને વૈકલ્પિક વ્યવસ્થા વગર તે દૂર કરાતા રોષ ફેલાયો છે. ટાંકી દૂર થતાં સમસ્યા વેઠતા લોકો હવે વૈકલ્પિક વ્યવસ્થાની માગ કરી છે.
ટાંકી ફરીથી ત્યાં જ મુકવામાં આવશે
આ બાબત મને ધ્યાનમાં છે. પાણીની ટાંકી ચોકમાં હતી. તે દબાણમાં ન હતી. તે ભુલથી દૂર થઇ ગઇ છે. આ ટાંકી ફરીથી આગામી દિવસોમાં ત્યાં જ મુકવામાં આવશે. રીનાબેન પંચાલ,પ્રમુખ,દા.ન.પા
કામ છોડી પાણીની વ્યવસ્થા કરવી પડે
ટાંકી હતી ત્યારે ત્યાંથી મહિલાઓ પાણી ભરી લાવતી હતી. હવે ટાંકી દૂર કરી દેવાતાં અન્ય વિસ્તારોમાં ઘરની મહિલાઓ ક્યાં જાય જેથી કામ છોડીને અમારે પાણી લેવા માટે જવું પડે છે. ટાંકી ફરીથી મુકાય તે જરૂરી છે.
-જેસીંગભાઇ પરમાર, ભીલવાડા
કામ છોડી પાણીની વ્યવસ્થા કરવી પડે
ટાંકી હતી ત્યારે ત્યાંથી મહિલાઓ પાણી ભરી લાવતી હતી. હવે ટાંકી દૂર કરી દેવાતાં અન્ય વિસ્તારોમાં ઘરની મહિલાઓ ક્યાં જાય જેથી કામ છોડીને અમારે પાણી લેવા માટે જવું પડે છે. ટાંકી ફરીથી મુકાય તે જરૂરી છે.
– જેસીંગભાઇ પરમાર, ભીલવાડા