પાલનપુર,(બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-
પોલીસ દ્વારા પાલનપુર શહેરમાં નીકળેલી રથયાત્રા પર ડ્રોન દ્વારા રાખવામાં આવી બાજ નજર
પાલનપુર શહેરમાં આજે અષાઢી બીજ નિમિત્તે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિકળી હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ત્રણ રથ અને ૬૦ સ્વયં સેવકો સાથે નીકળેલી રથયાત્રામાં પોલીસ દ્વારા ડ્રોન કેમેરા દ્વારા બાજ નજર પણ રાખવામાં આવી હતી.
સમગ્ર ગુજરાતમાં કોરોનાની બીજી લહેરે આતંક મચાવ્યો હતો. જેને પગલે અષાઢી બીજના દિવસે નિકળતી ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજવા પર સંકટનાં વાદળો ઘેરાયાં હતાં. જોકે રથયાત્રાનો સમય નજીક આવતા કોરોબાના કેસોમાં પણ ઘટાડો થવા લાગ્યો હતો. જેને કારણે કોરોનાના કેસોની સમીક્ષા કરીને ભક્તો વિના જ રથયાત્રા યોજવાની સરકારે મંજુરી આપી હતી. ત્યારે આજે પાલનપુર શહેરમાં પણ ત્રણ રથ અને ૬૦ સ્વયંસેવકોની ઉપસ્થિતિમાં આ રથયાત્રા શહેરના રાજમાર્ગો પર નીકળી હતી. રથયાત્રા દરમ્યાન ભક્તો ઘરમાં બંધ રહ્યાં હતાં અને ભગવાન નગરચર્યાએ નિકળ્યાં હતા. શહેરમાં ચારથી પાંચ કલાક સુધી પરિભ્રમણ કરતી રથયાત્રા ઈતિહાસમાં પ્રથમવાર માત્ર બે જ કલાકમાં પૂર્ણ થઇ ગઇ હતી. પાલનપુર મોટા રામજી મંદિર ખાતેથી નીકળેલી રથયાત્રા શહેરના જાહેરમાર્ગો પર થી પ્રસ્થાન કરી જાહેર માર્ગો પર પરિભ્રમણ કરીને પરત મોટા રામજી મંદિર પહોંચી હતી. સઘન પોલીસ કાફલા સાથે નીકળેલી રથયાત્રા દરમિયાન પોલીસ દ્વારા ડ્રોન કેમેરાથી બાજનજર રાખવામાં આવી હતી.