ઉત્તરાયણ સહિત અન્ય તહેવારો દરમ્યાન સ્કાયલેન્ટર્સ (ચાઇનીઝ તુક્કલ) ઉડાડવા પર પ્રતિબંધ મુકતુ જાહેરનામું જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી આંનદ પટેલ દ્વારા પ્રસિધ્ધ કરાયું

પાલનપુર,(બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

ઉત્તરાયણના તહેવારો તેમજ અન્ય તહેવારો દરમ્યાન સ્કાયલેન્ટર્સ ઉડાડવાની પ્રથા ચાલુ થયેલ હોઇ સ્કાય લેન્ટર્સ પવન કે અન્ય વસ્તુ સાથે અથડાય તો આગ લાગવાના બનાવો બને છે. તેમજ સ્કાય લેન્ટર્સ એકવાર ઉડાન કર્યા પછી ગમે તે જગ્યાએ પડી શકે છે તેમજ વિદેશમાંથી ગેરકાનૂની રીતે આયાત થાય છે. વળી તે સસ્તા મટીરીયલમાંથી બનાવામાં આવતા હોઇ પર્યાવરણને પણ નુકશાન થાય છે. તેમજ ચાઈનીઝ માંઝા/પ્લાસ્ટીક દોરીના ઉપયોગથી પશુ પંખીઓને નુકશાન કે તેવી અન્ય કોઈ દુર્ઘટના બને છે.
નામ. ગુજરાત હાઈકોર્ટના તા.૨૨/૧૨/૨૦૧૫ના હુકમ તથા નામ. ગુજરાત હાઈકોર્ટ સમક્ષની અન્ય રીટ પીટીશન (પી.આઈ.એલ.) નં.૨૫૩/૨૦૧૬માં નામ. ગુજરાત હાઈકોર્ટના તા.૧૩/૦૧/૨૦૧૭ના હુકમથી ચાઈનીઝ માંઝા/નાયલોન/પ્લાસ્ટીક દોરી, કાચ પાયેલી તથા અન્ય હાનિકારક પદાર્થોથી કોટીંગ કરેલ દોરી તેમજ પતંગ ચગાવવા માટે ઉપયોગમાં લેવાતા અન્ય હાનિકારક પદાર્થોના ઉપયોગ પર તેમજ નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ નવી દિલ્હી સમક્ષની ઓરીજનલ એપ્લીકેશન નં.૩૮૪/૨૦૧૬ તથા ૪૪૨/૨૦૧૬ના કેસમાં ટ્રીબ્યુનલના હુકમથી આપેલ ડાયરેકશન અન્વયે પતંગ ચગાવવાના નાયલોન અથવા અન્ય સિન્થેટીક માંઝા, સિન્થેટીક પદાર્થ કોટીંગ કરેલ હોઈ અને નોન બાયોડીગ્રેબલ હોઈ તેવી દોરી/ચાઈનીઝ માઝા પર પ્રતિબંધ મુકવામાં આવેલ છે. જેથી તેના ઉપયોગ પર પ્રતિબંધ મુકવો જરૂરી જણાય છે.
શ્રી આનંદ પટેલ, (આઈ.એ.એસ.) જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, બનાસકાંઠા, પાલનપુરને ફોજદારી કાર્યરીતિ અધિનિયમ ૧૯૭૩ની કલમ-૧૪૪ અન્વયે મળેલ સતાની રૂએ સમગ્ર બનાસકાંઠા જિલ્લાના હદ વિસ્તારમાં સ્કાય લેન્ટર્સ (ચાઇનીઝ તુક્કલ) ઉડાડવા, પતંગ ચગાવવાના નાયલોન અથવા અન્ય સિન્થેટીક માંઝા, સિન્થેટીક પદાર્થથી કોટીંગ કરેલ હોય અને નોન બાયોડીગ્રેબલ હોય તેવી દોરી/ચાઈનીઝ માંઝાના ઉતરાયણના તહેવાર દરમ્યાન ખરીદ, સંગ્રહ, વેચાણ અથવા ઉપયોગ પર પ્રતિબંધ જાહેર કરવા હુકમ કરવામાં આવ્યો છે.
આ હુકમ તા.૦૪/૦૧/૨૦૨૨ થી તા.૨૦/૦૧/૨૦૨૨ (બંને દિવસો સહિત) અમલમાં રહેશે. આ આદેશનો ભંગ કરનાર ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ અને ગુજરાત પોલીસ અધિનિયમની કલમ ૧૩૫ હેઠળ સજાને પાત્ર થશે.
આ હુકમ અન્વયે બનાસકાંઠા જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ અધિક્ષકશ્રીના દરજજાથી પોલીસ સબ ઈન્સપેકટર સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારીઓને આ જાહેરનામાંનો ભંગ કરનાર ઈસમો સામે આઈ.પી.સી.ક.૧૮૮ તથા ગુ.પો.અધિ.ક.૧૩૫ મુજબ ફરિયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here