રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-
અરજદારોના પ્રશ્નોનો ઝડપી નિકાલ લાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા નર્મદા કલેક્ટર
નર્મદા જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાના અધ્યક્ષસ્થાને આજે તા.૨૫મી મે, ૨૦૨૩ને ગુરુવારના રોજ ‘જિલ્લા સ્વાગત કાર્યક્રમ’ યોજાયો હતો. જિલ્લાના નાગરિકો અને અરજદારોના પ્રશ્નોને વાચા આપવાની પ્રતિબદ્ધતા સાથે જિલ્લા કલેક્ટરે અરજદારોની ફરિયાદો અને રજૂઆતોને સાંભળી હતી અને તેમના પ્રશ્નોનોનો ઝડપી નિકાલ આવે તે અંગે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.
નર્મદા જિલ્લાના પ્રજાજનોની સુખાકારી અને તેમના પ્રશ્નોનું ઝડપી નિવારણ લાવવા માટેનો સ્વાગત કાર્યક્રમ નાગરિકોના પ્રશ્નોને વાચા આપવા માટે સક્ષમ બન્યો છે. તત્કાલિન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે રાજ્યના સામાન્ય નાગરિકોની ફરિયાદોનું ન્યાયી ધોરણે સમયબદ્ધ અને ત્વરિત નિવારણ લાવવાના જનહિતકારી ભાવથી દેશભરમાં પ્રથમ એવો નવતર અભિગમ ‘સ્વાગત’ કાર્યક્રમ ગુજરાતની શરૂઆત હતી. જેનો લાભ આજે રાજ્ય સહિત નર્મદા જિલ્લાના છેવાડા માનવીઓને પણ મળી રહ્યો છે.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, પ્રાયોજના વહિવટદાર હનુલ ચૌધરી, નિવાસી અધિક કલેક્ટર સી.એ.ગાંધી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.કે.જાદવ, પ્રાંત અધિકારી શૈલેષ ગોકલાણી અને આનંદ ઉકાણી, રાજપીપલા નગર પાલિકાના ચીફ ઓફિસર રાહુલ ઢોડિયા, નાંદોદ તાલુકા વિકાસ અધિકારી એ.જે.ચૌધરી સહિત સંબંધિત મામલતદારો, અધિકારી-કર્મચારીઓ અને જિલ્લાના અરજદારઓ હાજર રહ્યાં હતા.