છોટાઉદેપુર, ચારણ એસ વી :-
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત આગામી તા.૦૭/૦૫/૨૦૨૪ ના રોજ મતદાન થનાર છે, આ ચૂંટણીમાં જિલ્લાના નાગરિકોની સહભાગિતા વધારવા માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અનિલ ધામેલિયાના માર્ગદર્શન હેઠળ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી આર.બી.ચૌધરી તથા સ્વીપના નોડલશ્રી આનંદકુમાર પરમાર દ્વારા મતદાર જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
જિલ્લાના વધુમાં વધુ લોકોને મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત આવરી લેવાય તે માટે સોશિયલ મીડિયાના માધ્યમથી મતદાન જાગૃતિ હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે પાવીજેતપુર સ્થિત એમ.સી.રાઠવા કોલેજ અને છોટાઉદેપુર સ્થિત એસ.એફ. હાઈસ્કૂલ ખાતેથી YOUTUBE ના માધ્યમથી મતદાન અંગે જાગૃતતા ફેલાવતો સંદેશ આપવામાં આવ્યો હતો.
પાવીજેતપુર ખાતે તાલુકા સ્વીપ નોડલ પી.આર.વાઘેલા અને એમ.સી.રાઠવા કોલેજના આચાર્યશ્રી હર્ષદભાઈ રોહિત દ્વારા તથા છોટાઉદેપુર ખાતે તાલુકા સ્વીપ નોડલ એ.એચ. પ્રજાપતિ અને એસ.એફ. હાઈસ્કૂલના આચાર્યશ્રી એચ.જી.ચૌહાણ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શ્રી હર્ષદભાઈ રોહિત અને શ્રી એચ.જી.ચૌહાણ એ વિડીયોના માધ્યમથી લોકોને અચૂક મતદાન કરવાનો સંદેશો પાઠવવાની સાથે ચૂંટણી પંચની માર્ગદર્શિકા વિશે પણ જાણકારી આપી હતી.