નસવાડી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-
તા.૨૪ મી, ફેબ્રુઆરીના રોજ સવારે ૦૯:૦૦ કલાકે શ્રી. એસ.એન.કોલેજ ગ્રાઉન્ડ, છોટાઉદેપુર ખાતે રાજયના આદિજાતિ વિકાસ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા તબીબી શિક્ષણ રાજયમંત્રી અને છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી નિમિષાબેન સુથારની ઉપસ્થિતિમાં ગરીબ કલ્યાણ મેળો યોજાશે. ગરીબ કલ્યાણ મેળા દરમિયાન છોટાઉદેપુર જિલ્લાના ૨૧૦૬૨ લાભાર્થીઓને રૂા. ૬૨.૪૬ કરોડની સહાય ચૂકવવામાં આવશે.
રાજય સરકાર દ્વારા તા. ૨૪, ૨૫ અને ૨૬મી ફેબ્રુઆરી દરમિયાન રાજયના વિવિધ જિલ્લાઓમાં ગરીબ કલ્યાણ મેળાઓનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ તબકકાના તા. ૨૪મી ફેબ્રુઆરીના રોજ છોટાઉદેપુર જિલ્લામાં પણ ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી. એસ.એન. કોલેજ ગ્રાઉન્ડ, છોટાઉદેપુર ખાતે યોજાનારા ગરીબ કલ્યાણ મેળામાં વિવિધ વિભાગની કલ્યાણલક્ષી યોજનાના લાભાર્થીઓને હાથો હાથ સહાય આપવામાં આવશે.
રાજયના આદિજાતિ વિકાસ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા તબીબી શિક્ષણ રાજયમંત્રી નિમિષાબેન સુથારના હસ્તે છોટાઉદેપુર જિલ્લાના લાભાર્થીઓને મેઇન સ્ટેજ તેમજ પેટા સ્ટેજ પરથી સહાયના ચેકો, મંજુરી હુકમો તથા કીટનું વિતરણ કરવામાં આવશે.
છોટાઉદેપુર ખાતે યોજાનારા ગરીબ કલ્યાણ મેળામાં જુદી જુદી યોજનાના ૨૧૦૬૨ લાભાર્થીઓને રૂા. ૬૨.૪૬ કરોડની માતબર રકમના લાભો એનાયત કરવામાં આવશે તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં યોજાનારા રાજયકક્ષાના ગરીબ કલ્યાણ મેળાનું જીવંત પ્રસારણ પણ કરવામાં આવશે.
વધુમાં છોટાઉદેપુર ખાતે આવેલા જિલ્લા સેવાસદન ખાતે નવનિર્મિત થનારા ઇમર્જન્સી ઓપરેશન સેન્ટરનું ખાતમુહૂર્ત રાજયમંત્રીના હસ્તે કરવામાં આવશે. તેમજ રૂા. ૧૮૩.૦૫ લાખના શ્રી સરદાર વલ્લભભાઇ પટેલ ગાર્ડન ડેવલપમેન્ટનું કામ, રૂા. ૫૬ લાખના ખર્ચે જનરલ હોસ્પિટલ ખાતે બનાવવામાં આવેલા પી.એસ.એ પ્લાન્ટ અને રૂા. ૮૪.૮૮ લાખના ખર્ચે અલીરાજપુર નાકા ખાતે બનાવવામાં આવેલા ૬ એમ.એલ.ડી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ પણ મંત્રી નિમિષાબેન સુથાર દ્વારા કરવામાં આવશે એમ આયોજકો તરફથી જણાવાયું છે.