નર્મદા જિલ્લાના તલાવપુરા ગામ ખાતે બની ગોતરની બે ભેંસોની થયેલ ચોરીનો મામલો પ્રકાશમાં આવ્યો
રાત્રિના અંધકાર અને ચોમાસાનો લાભ લઇ રુપિયા 40,000/- ની ભેંસો સાથે ચોરટા ફરાર, પશુપાલકોમાં ચિંતા ફેલાઈ
રાજપીપળા(નર્મદા)
આશિક પઠાણ
ચોરી થવાના અનેક બનાવ બનતા હોય છે, અનેક કિસ્સાઓ પોલીસ દફતરે નોધાતા હોય છે,પરંતુ ભેંસોની ચોરી થવાંના પોલીસ દફતરે નોધાવાના કિસ્સા જવલ્લેજ બનતા હોય છે, ત્યારે નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના તલાવપુરા ગામ ખાતેથી બબ્બે ભેંસો ચોરાયાની ધટના પ્રકાશમાં આવતા પશુપાલકોમાં ચિંતા ફેલાઈ છે.
પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર તિલકવાડા તાલુકાના તલાવપુરા ગામ ખાતે રહેતા મહેશભાઈ બકોરભાઇ બારીયાએ પોતાની બની જાતિની ભેંસો તા.11મી જુલાઇના રોજ પોતાના ઘરે કોઢમાં બાંધી હતી બીજા દિવસે સવારે ઉઠીને જોતાં બન્ને ભેંસો નજરે ન પડતા તેઓ આશ્ચર્યમાં પડી ગયા હતા, આમતેમ તપાસ કરી પરંતુ ભેંસો મળી આવેલ નહોતી જેથી તિલકવાડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
તિલકવાડા પોલીસે આ મામલે બની જાતિની બે ભેંસો કિંમત રુપિયા 40000 ની ચોરી થયાંનો ગુનો નોંધી ભેંસોની ચોરી કરનારા તત્વોને ઝડપવાના ચક્રો ગતિમાન કર્યા છે.