રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-
સરદાર સરોવર નર્મદા નિગમ મા ઇજનેર તરીકે ફરજ બજાવતા ગાંધીનગરનાં જાણીતા ઇજનેર અને ગઝલકાર ડૉ. મુકેશ જોષીના દ્રિતીય ગઝલસંગ્રહ “કેડી તૃપ્તિનું” લોકાર્પણ તા.૧૯ નવેમ્બર ૨૦૨૧ ને શુક્રવારના રોજ સાંજે ૫.૧૫ કલાકે અમદાવાદ મુકામે ગુજરાતી સાહિત્ય પરિષદના રા.વિ. પાઠક સભાગૃહમાં યોજાનાર છે.
આ કાર્યક્રમમાં જાણીતા સાહિત્યકાર ભાગ્યેશ જહા, કવિ અને વિવેચક યોસેફ મેકવાન, ગઝલકાર ડૉ. એસ.એસ.રાહી તેમજ ડૉ. સતીન દેસાઈ “પરવેઝ” અને કવિશ્રી કૃષ્ણ દવે ઉપસ્થિત રહેનાર છે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જાણીતા કવિ અને ઉદ્દઘોષક હરદ્રાર ગોસ્વામી કરશે, જ્યારે સ્વરોત્સવ જાણીતા ગાયક કલાકાર માયા દીપક દ્રારા રજુ કરવામાં આવશે.
આ “કેડી તૃપ્તિની” ગઝલ સંગ્રહમાં કુલ ૧૧૧ ગઝલોનો સમાવેશ કરવામાં આવેલ છે. આ પુસ્તકનું પ્રકાશન સુપ્રસિધ્ધ “રન્નાદે પ્રકાશન” દ્વારા કરવામાં આવેલ છે અને આ પુસ્તકની પ્રસ્તાવના યોસેફ મેકવાન, ડૉ. એસ.એસ. રાહી તથા મુસાફીર પાલનપુરી દ્રારા લખવામાં આવી છે. આ ગઝલસંગ્રહના સર્જક ડૉ. મુકેશ જોષી સરદાર સરોવર નર્મદા નિગમ લીમીટેડ ગાંધીનગર ખાતે મુખ્ય જનરલ મેનેજર (ટેકનિકલ એન્ડ કો-ઓર્ડીનેશન) તરીકે ફરજ બજાવે છે. તેઓ ઈજનેરી ક્ષેત્રે ૩૭ વર્ષનો બહોળો અનુભવ ધરાવે છે અને તેમના જળવ્યવસ્થાપન અંગે ૮૫ જેટલા સંશોધન પત્રો પ્રકાશિત થયેલ છે.
અગાઉ વર્ષ ૨૦૧૫માં પ્રકાશિત થયેલ તેમના પ્રથમ ગઝલસંગ્રહ “ક્ષણોની મહેફીલ” ને પણ ભાવકોનો સુંદર પ્રતિભાવ સાંપડ્યો હતો. ડૉ. મુકેશ જોષીની કામની અતિ વ્યસ્તતા, કામનું ભારણ છતાં પણ ગઝલ પ્રત્યેનો તેમનો લગાવ, લાગણી અને કવિ દિલને લઈને તેઓ દ્વારા આ દ્રિતીય ગઝલસંગ્રહ “કેડી તૃપ્તિની” નું લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે જે ગૌરવપ્રદ છે.