સંનિષ્ઠ ગુરૂજનો નવી શિક્ષણ નીતિના માધ્યમથી દેશને નવી ઉંચાઈ પર લઈ જનારા નાગરિકોનું નિર્માણ કરશે : મંત્રીશ્રી જયદ્રથસિંહ પરમાર

હાલોલ,(પંચમહાલ)
ઇશ્હાક રાંટા

પંચમહાલ જિલ્લામાં હાલોલ ખાતે મંત્રીશ્રી જયદ્રથસિંહ પરમારના અધ્યક્ષસ્થાને શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાયો

પંચમહાલ જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનારા ૧૫ શિક્ષકોનું પારિતોષિક આપી સન્માન કરાયું

ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જ્ન્મદિવસ કે જે દેશભરમાં શિક્ષક દિન તરીકે ઉજવાય છે, તેની પંચમહાલ જિલ્લામાં પણ ભારે ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. કૃષિ, પંચાયત અને પર્યાવરણ મંત્રીશ્રી જયદ્રથ સિંહ પરમારની અધ્યક્ષતામાં હાલોલ ખાતે શિક્ષક દિનની ઉજવણી નિમિત્તે શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનારા શિક્ષકોને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. હાલોલની વી.એમ. શાહ સ્કૂલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં તાલુકા કક્ષાના ૧૨ અને જિલ્લા કક્ષાના ૩ શિક્ષકોને પ્રમાણપત્ર અને પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
પારિતોષિક મેળવનાર શ્રેષ્ઠ શિક્ષકોને અભિનંદન પાઠવતાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે કોઇપણ વ્યક્તિ, સમાજ કે રાષ્ટ્રનો વિકાસ શિક્ષણ સિવાય શક્ય નથી અને તેથી જ ભારતીય સંસ્કૃતિમાં ગુરુને સર્વોચ્ચ પદ આપવામાં આવ્યું છે. બાળકોના ઘડતર અને ઉજ્જવળ ભવિષ્યના નિર્માણમાં શિક્ષણનું મહત્વ સમજતી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળની સરકાર નવી શિક્ષણ નીતિ લાવી છે. દેશના સંનિષ્ઠ શિક્ષકો નવી શિક્ષણ નીતિના માધ્યમથી શક્તિશાળી નાગરિક, સમાજ અને રાષ્ટ્રનું નિર્માણ કરી દેશને વધુ ઉંચાઈએ પહોંચાડશે. ચાણક્યના વિધાનને ટાંકતા દેશના બાળકોને સર્જનાત્મક રસ્તે વાળવા કે વિનાશકારી રસ્તે વાળવા તે શિક્ષકો પર નિર્ભર છે તેથી શિક્ષકોએ નવીન સંશોધનો અને ટેકનોલોજીથી અવગત રહીને બાળકોના સર્વાંગી વિકાસ માટે તેમનો ઉપયોગ કરવાનો છે. શિક્ષણ ઉપરાંતની પ્રવૃત્તિઓમાં પણ શિક્ષકો સમાન રીતે પ્રદાન આપે છે તેમ જણાવી મંત્રીશ્રી એ નોવેલ કોરોના વાયરસે દેશમાં સર્જેલી કટોકટી દરમિયાન શિક્ષકોએ બજાવેલી કામગીરીની પ્રસંશા કરી હતી.
જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રાજપાલસિંહ જાદવે પોતાના સંબોધનમાં ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનને આદર સહ યાદ કરતા જણાવ્યું હતું કે ઉત્તમ શિક્ષકો વ્યક્તિના જીવનમાં આમૂલ પરિવર્તન લાવવાર બની રહે છે. પારિતોષિક વિજેતા શિક્ષકોને અભિનંદન પાઠવતા તેમણે અન્ય શિક્ષકોને શિક્ષણની નવીન તરાહો શીખવામાં મદદરૂપ થવા અનુરોધ કર્યો હતો.
જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાએ જણાવ્યું હતું કે જ્ઞાનરૂપી પ્રકાશથી આપણા જીવનમાં ઉજાશ પાથરનારા શિક્ષકોને બિરદાવવાના એક પ્રયાસરૂપે આપણે શિક્ષક દિનની ઉજવણી કરીએ છીએ. પ્રતિભાવાન શિક્ષકો જ આવતીકાલના નાગરિકો એવા બાળકોનો સર્વાંગીણ વિકાસ કરીને રાષ્ટ્રનો સર્વોચ્ચ વિકાસ શક્ય બનાવે છે ત્યારે સમાજ દ્વારા તેમની આ ભૂમિકાની યથોચિત નોંધ લેવી અતિ આવશ્યક હોવાનું તેમણે ઉમેર્યું હતુ. કોરોના સામેની લડાઈમાં જિલ્લાના શિક્ષકોએ આપેલ યોગદાનનો ઉલ્લેખ કરી જિલ્લા સમાહર્તાશ્રીએ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.
જિલ્લા શિક્ષણાધિકારી શ્રી બી.એસ. પંચાલે કાર્યક્રમની આભારવિધિ કરી હતી. કાર્યક્રમમાં ગોધરાના ધારાસભ્ય શ્રી સી.કે. રાઉલજી, હાલોલ નગરપાલિકા પ્રમુખ સુશ્રી વિભાક્ષીબેન દેસાઈ, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી સહિતના પદાધિકારીઓ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એ.જે. શાહ, પ્રાંત અધિકારીશ્રી એ.કે.ગૌતમ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટનસિંગ અને માસ્ક સહિતના કોરોના સામે બચાવના પગલાઓનું પાલન સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here