રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-
આગામી તા. 03 ડિસેમ્બર તથા તા.09 ડિસેમ્બરના રોજ પણ યોજાશે ખાસ ઝૂંબેશ દિવસ
મતદારયાદીને ક્ષતિરહિત બનાવવા તથા નવા મતદારોને સમયસર મતાધિકાર મળે તે માટે બુથ લેવલ ઑફિસર્સ દ્વારા અસરકારક કામગીરી
ભારતના ચૂંટણી પંચની સુચના અને મુખ્ય નિર્વાચન અધિકારી ના માર્ગદર્શન હેઠળ મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-2024 અંતર્ગત રાજ્યભરમાં તા.05 નવેમ્બર અને તા.26 નવેમ્બર, 2023 ના રોજ ખાસ ઝૂંબેશ દિવસ યોજવામાં આવ્યા હતા. જે અંતર્ગત મતદાર તરીકે નોંધણી કરાવવા 2.34 લાખથી વધુ ફોર્મ નં.06 જ્યારે મતદારોની સરનામા સહિતની વિગતોમાં સુધારો કરાવવા 1.76 લાખથી વધુ ફોર્મ નં.08 મેળવવામાં આવ્યા છે.
ક્ષતિરહિત મતદારયાદી તૈયાર થાય અને એક પણ મતદાર મતાધિકારથી વંચિત ન રહે તે માટે ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-2024 અંતર્ગત મતદારયાદીમાં નામ નોંધણી માટેના રાજ્યભરમાં કુલ 2.62 લાખથી વધુ ફોર્મ નં.06 મેળવવામાં આવ્યા છે. જેની ચકાસણી બાદ નિયમાનુસાર ચકાસણી બાદ નવા મતદારોનું નામ મતદારયાદીમાં ઉમેરવામાં આવશે.
આગામી લોકસભાની ચૂંટણીમાં મતાધિકાર પ્રાપ્ત કરવા મતદારયાદીમાં નામ નોંધાવવા ની આ તક છે. જેમાં આગામી તા.03 ડિસેમ્બર તથા તા.09 ડિસેમ્બરના રોજ પણ રાજ્યભરમાં ખાસ ઝૂંબેશ દિવસ યોજાશે. જેમાં મતદાન મથક પર જ સવારે 10.00 કલાકથી સાંજે 05.00 કલાક સુધી મતદારયાદીમાં નામ નોંધાવવા ફોર્મ ભરી શકાશે.
ન્યાયી અને સુગમ ચૂંટણીઓ માટે મતદારયાદીને ક્ષતિરહિત બનાવવા આગામી તા.09 ડિસેમ્બર, 2023 સુધી ચાલનારા મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-2024 તથા તે અંતર્ગત યોજાનારા ખાસ ઝૂંબેશ દિવસ અંતર્ગત પાત્રતા ધરાવતા નાગરિકો મતદારયાદીમાં પોતાના નામ નોંધાવી સકે છે.