ડેરી ઉદ્યોગએ સહકારિતાની નાભી સમાન… સરકારની દૂધ સંજીવની યોજના વધુ સરળ અને સુલભ બનશે.. : મુખ્યમંત્રી

બોડેલી,(છોટા ઉદેપુર) એસ વી ચારણ :-

જાણવા મળ્યા મુજબ ગુજરાત ના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા ઉદ્દઘાટિત નવ નિર્મિત મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટમાં દૂધ પ્રોસેસ ક્ષમતામાં ૩ થી ૬ લાખ લીટર પ્રતિ દિન વધારો થશે. દૂધની પેકિંગ ક્ષમતા પ્રતિ દિન ૩ લાખ થવા સાથે સ્ટોરેજ ક્ષમતા ૪ લાખ લીટર થશે. એટલુ જ નહિ ભવિષ્યમાં ૧૧ લાખ લીટર પ્રતિ દિવસ દૂધ સંપાદન પહોંચે ત્યાં સુધીની ક્ષમતા ઉભી થઇ છે. આ નૂતન પ્લાન્ટ આદિવાસી વિસ્તારમાં સ્થપાયેલ હોવાથી રાજ્ય સરકારની દૂધ સંજીવની યોજના વધુ સરળ અને સુલભ બનશે.

મુખ્યમંત્રી  એ જણાવ્યું કે સહકારી પ્રવૃત્તિ ગુજરાતમાં ખુબ વિકસી છે. ગુજરાતના પનોતા પુત્ર પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઇ મોદી અને સહકાર મંત્રી  અમિતભાઈ શાહે નવા સુધારા દ્વારા સહકારી માળખાને મજબૂતી આપી છે.

ડેરી ઉદ્યોગ એ સહકારિતાની નાભી જેવો ઉદ્યોગ છે. જે લાખો પશુપાલકોને આત્મ નિર્ભર બનાવે છે. સહુનો સાથ, સહુનો વિકાસ અને સહુનો વિશ્વાસ એ પ્રધાનમંત્રી  નું સૂત્ર સહકારી ડેરી ઉદ્યોગને ખૂબ લાગુ પડે છે.આત્મ નિર્ભર ભારત માટે આત્મ નિર્ભર ગુજરાત જરૂરી છે. ગુજરાતને આત્મ નિર્ભર બનાવવામાં સહકારિતા ઉદ્દીપકનું કામ કરે છે. 

સ્વરાજની ચળવળ વખતે ગુજરાતમાં સહકારીના પાયા નંખાયા ત્યારે પૂ. મહાત્મા ગાંધી અને સરદાર પટેલ બેલડી દ્વારા તેમને પ્રોત્સાહન અપાયું હતું. ગુજરાતની સહકારી પ્રવૃત્તિ વટવૃક્ષ બની દેશના સીમાડા વટાવી ગઇ છે. હવે, વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદી અને સહકારિતા મંત્રી  અમિતભાઇ શાહ સમગ્ર દેશને સહકારથી સમૃદ્ધિનો નવો રાહ ચિંધે છે. 

તેમણે જણાવ્યું કે, વહીવટમાં શક્ય તેટલી સરળતા દ્વારા લોકોના કામો સરળ બનાવવા એ અમારો સંકલ્પ છે. અમે લોકોની મુશ્કેલીઓ નિવારવા બનતા બધાં જ પ્રયત્નો કરીશું.

પ્રદેશ પ્રમુખ શ્રી સી. આર. પાટીલે જણાવ્યું કે, બરોડા ડેરી દ્વારા દૂધ ઉત્પાદકોના પ્રશ્ન સૌને સાથે લઇને ઉકેલવામાં આવ્યો છે. બરોડા ડેરી દ્વારા દૂધ ઉત્પાદકોને રૂ. ૨૭ કરોડ ચૂકવવામાં આવશે. તેમાંથી રૂ. ૧૮ કરોડ જેટલી માતબર રકમ ચૂકવવામાં આવી છે અને બાકીની રકમ આગામી માર્ચ સુધીમાં ચૂકવી દેવાનું ડેરીનું આયોજન છે. 

આ વિસ્તારમાં રૂ. ૫૫૦ કરોડના ખર્ચથી ૧૯૧ જેટલા વિકાસના કામો રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવ્યા છે. જે પૈકી રૂ. ૧૮૦ કરોડના વિકાસ કામો પૂર્ણ થઇ ગયા છે. બોડેલી ફાટકનું કામ પણ ઝડપથી મંજૂર કરવામાં આવનાર છે. 

બરોડા ડેરીની મૃત્યુ સહાય યોજના હેઠળ ડેરીના મૃતક કર્મચારી નીતિનભાઇ પટેલના ધર્મપત્ની દીપિકાબેન પટેલને રૂ.૧૦ લાખનો ચેક મુખ્યમંત્રીશ્રીએ અર્પણ કર્યો હતો.

પ્રારંભમાં સૌનો આવકાર કરતા બરોડા ડેરીના પ્રમુખશ્રી દિનુભાઈ પટેલ જણાવ્યું કે ૧૯૫૭ માં માત્ર છ મંડળી અને ૫૦૦ લીટર દૂધથી શરૂ થયેલી બરોડા ડેરી આજે ૧૨૦૦ દૂધ મંડળી સાથે રોજનું ૬.૫૦ લાખ લીટર દૂધ એકત્ર કરે છે.બરોડા ડેરીને મજબૂત કરવામાં વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાના પશુપાલકોનો સિંહ ફાળો રહ્યો છે તેમ તેમણે ઉમેર્યું હતુ.

અંતમાં બરોડા ડેરીના ઉપ પ્રમુખ  જી.બી.સોલંકીએ આભારવિધિ કરી હતી.

આ પ્રસંગે રાજ્ય મંત્રી  અરવિંદભાઈ રૈયાણી, સાંસદ  ગીતાબેન રાઠવા, ધારાસભ્ય  અભેસિંહ તડવી, અગ્રણી ભાર્ગવ ભટ્ટ, જિલ્લા પંચાયત પ્રમુખ  મલકાબેન પટેલ, વડોદરા જિલ્લા પંચાયત પ્રમુખ  અશોકભાઈ પટેલ, અગ્રણી શ્રી અશ્વિનભાઈ પટેલ, રશ્મિકાંત વસાવા, અગ્રણીઓ, સહકાર વિભાગના સચિવ  નલિન ઉપાધ્યાય, કલેકટર સ્તુતિ ચારણ, જિલ્લા વિકાસ અધિકારી , ગંગાસિંઘ, પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્મા, ડેરીના એમ. ડી.  અજય જોષી, બોર્ડના સભ્યો સહિત વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાની દૂધ ડેરીઓના પ્રમુખ, મંત્રી અને વિશાળ સંખ્યામાં સભાસદો હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here