ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી સહિત અન્ય મંત્રીઓની ઉપસ્થિતિમાં શિક્ષણ સહાયકોને નિયુક્તિપત્રો પ્રદાન કરવાના યોજાયેલા વર્ચ્યુઅલ કાર્યક્રમમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લા પ્રશાસન સહિત નર્મદા જિલ્લાના નવનિયુક્ત શિક્ષણ સહાયકો જોડાયાં

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટ અંતર્ગત જિલ્લાના શિક્ષણ સેવા યજ્ઞમાં નવનિયુક્ત શિક્ષણને જ્ઞાનરૂપી આહૂતિ આપી જિલ્લાને શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર રાખવાના પ્રશાસનના પ્રસયાસોમાં સહભાગી બનવા જિલ્લા કલેક્ટર ડી.એ. શાહનો અનુરોધ

જિલ્લાના નવનિયુક્ત ૩૧ શિક્ષણ સહાયકોને નિમણૂંક પત્રો એનાયત કરાયાં

ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, શિક્ષણ વિભાગના રાજયકક્ષાના મંત્રી શ્રીમતી વિભાવરીબેન દવે સહિત શિક્ષણ વિભાગના વરિષ્ઠ અધિકારી ઓની ઉપસ્થિતિમાં આજે ગાંધીનગર ખાતે રાજયની અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૧ અંતર્ગત પસંદગી પામેલ રાજયના ૨૯૩૮ શિક્ષણ સહાયકોને નિયુક્તિ પત્રો પ્રદાન કરવાનો વર્ચ્યુઅલ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીશ્રી ના હસ્તે નવનિયુક્ત શિક્ષણ સહાયકોને પ્રતિકાત્મક નિમણૂંકપત્ર એનાયત કરાયાં હતા. રાજપીપલામાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી યોજાયેલા આ કાર્યક્રમમાં નર્મદા જિલ્લા કલેકટર ડી.એ.શાહ અને જિલ્લા શિક્ષણાધિકારી જયેશભાઇ પટેલ સહિત જિલ્લામાં પસંદગી પામેલ શિક્ષણ સહાયકો પણ તેમાં જોડાઇને મુખ્યમંત્રીશ્રીના ઉકત વર્ચ્યુઅલ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

રાજપીપલા કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે યોજાયેલા ઉકત કાર્યક્રમમાં જિલ્લા કલેકટર ડી.એ.શાહના હસ્તે પસંદગી પામેલ ૮ જેટલા શિક્ષકોને નિમણૂંક પત્રો એનાયત કરી તેમની ઉજ્જવળ કારકિર્દી માટેની શુભેચ્છા સાથે અભિનંદન આપ્યા હતા.

એસ્પિરેશનલ ડિસ્ટ્રીકટ અંતર્ગત નર્મદા જિલ્લામાં જિલ્લા પ્રસાશન દ્વારા હાથ ધરાયેલા શિક્ષણના સેવા યજ્ઞમાં નવનિયુકત શિક્ષકોને તેમની જ્ઞાનરૂપી આહૂતિ આપી નર્મદા જિલ્લો શિક્ષણક્ષેત્રે અગ્રેસર રહે તેવા જિલ્લા પ્રસાશનના પ્રયાસોમાં પૂરતુ યોગદાન મળી રહેશે, તેવી અભિલાષા જિલ્લા કલેક્ટરે વ્યકત કરી હતી.

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ની ઉપસ્થિતિમાં તેમજ જિલ્લાકક્ષાએ કલેકટર ની ઉપસ્થિતિમાં શિક્ષણ સહાયકોને નિમણૂંક પત્રો પ્રદાન કરવાના યોજાયેલા કાર્યક્રમ બાદ તુરત જ રાજપીપલાની શ્રી એમ.આર. વિદ્યાલય ખાતે જિલ્લા શિક્ષણાધિકારી જયેશભાઇ પટેલ, શાળા સંચાલક મંડળના પ્રમુખ મહેશભાઇ પટેલ, નાયબ માહિતી નિયામક યાકુબભાઇ ગાદીવાલા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં અન્ય ૨૧ જેટલા શિક્ષણ સહાયકોને પ્રતિકાત્મક નિમણૂંક પત્રો એનાયત કરાયાં હતા.

જિલ્લા શિક્ષણાધિકારી જયેશભાઇ પટેલે નવનિયુક્ત શિક્ષણ સહાયકોને આવકારતા તેમના પ્રસંગોચિત ઉદબોધનમાં શ્રીમદ ભાગવત ગીતાનો ઉલ્લેખ કરી આ નવનિયુક્ત શિક્ષકોને તેમના કાર્યક્ષેત્ર વિસ્તારની પરિસ્થિતિ અનુકૂળ કે પ્રતિકૂળ હોય તો પણ હંમેશા હકારાત્મક અભિગમ સાથે અગવડતામાં પણ સગવડતા શોધવાના પ્રયાસો સાથે શિક્ષકમાંથી શ્રેષ્ઠ શિક્ષકનું વિશેષણ લાગે તે દિશામાં આગળ વધવાની શીખ આપી હતી.

શાળા સંચાલક મંડળના પ્રમુખ મહેશભાઇ પટેલે તેમના પ્રાસંગિક ઉદબોધનમાં ફેસલેસ અને પેપરલેસ પારદર્શક ભરતી પ્રક્રિયામાં પસંદગી બદલ નવનિયુક્ત શિક્ષણ સહાયકોને અભિનંદન પાઠવવાની સાથોસાથ જે તે વિષય શિક્ષકોને કન્ટેન્ટ પ્રમાણેની અત્યારથી જ તૈયારીઓ કરવા ઉપરાંત અન્ય વિષયોની પણ જરૂરી તૈયારીઓ સાથે અને ટેકનોલોજીના સુભગ સમન્વય સાથે જે તે શાળા-સંસ્થા તરફથી સોંપાનારી કામગીરી સઘનતાથી પૂરતી કાર્યક્ષમતા સાથે પરિણામલક્ષી બની રહે તે જોવા ખાસ અનુરોધ કર્યો હતો.

નાયબ માહિતી નિયામક યાકુબભાઇ ગાદીવાલાએ પણ નવનિયુકત શિક્ષણ સહાયકોને શુભેચ્છા પાઠવવાની સાથોસાથ જિલ્લામાં ઉમળકાભેર આવકાર્યા હતાં અને માહિતી વિભાગની કામગીરીની રૂપરેખાની સાથોસાથ જ્ઞાનવર્ધક ઉપયોગી ગુજરાત રોજગાર સમાચાર, “ગુજરાત પાક્ષિક“ મેગેઝીન અને અન્ય સાહિત્યરૂપી પુસ્તિકાઓ સહિતના પ્રકીર્ણ પ્રકાશનો વગેરે અંગેની જાણકારી આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here