આમ આદમી પાર્ટી દ્વારા મોરવા હડફ તાલુકામાં “કાર્યકર્તા પ્રવેશ સ્વાગત કાર્યક્રમ” યોજાયો

મોરવા(હ),(પંચમહાલ) ઈશહાક રાંટા

પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના ખુદરા ગામે પંચમહાલ જિલ્લા પ્રમુખ શ્રી દિનેશ બારીઆ ની અધ્યક્ષતામાં અને રાજકીય અગ્રણી શ્રી રણજીતસિંહ ચૌહાણની આગેવાની હેઠળ સદસ્યતા જોડો અભિયાન અંતર્ગત કાર્યકર્તા પ્રવેશ સ્વાગત કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

કાર્યક્રમ માં તાલુકામાંથી પાંચસો જેટલી જનમેદની ઊમટી પડી હતી. અને વિવિધ પાર્ટીઓના ૨૫૦ જેટલા કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાયા. જેમાં ખાસ કરીને ભાજપના રાજકીય અગ્રણી ભાણાભાઈ ડામોર પૂર્વ જિલ્લા પંચાયતના સભ્ય અને ન્યાય સમિતિના ચેરમેન તથા મોટા બામણા ના સરપંચ દિલીપભાઇ આઇડી તથા કોંગ્રેસના માજી તાલુકા સભ્ય બળદેપ્રસાદ દુબે, રીટાયર્ડ આર્મી ના ચાર સભ્યો, શક્તિ કેન્દ્ર ના બે પ્રમુખ સહિતના આગેવાનો આમ આદમી પાર્ટી જોડાયા.

મધ્ય ઉત્તર ઝોનના નવ નિયુકત પ્રદેશ સંગઠન મંત્રી શ્રી જયેશભાઈ સંગાડા તથા પંચમહાલ જિલ્લા પ્રમુખ શ્રી દિનેશ બારીઆએ નવા જોડાયેલા કાર્યકરોને પાર્ટીની ટોપી અને ખેસ પહેરાવીને આમ આદમી પાર્ટીમાં સૌનું સ્વાગત કર્યું હતું.

નવ નિયુકત સંગઠન મંત્રી શ્રી જયેશભાઈ સંગાડાનું સ્વાગત પંચમહાલ આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ શ્રી દિનેશ બારીઆ એ ફુલગુચ્છ દ્વારા કરવામાં આવ્યું હતું.

આજના આ કાર્યક્રમમાં “આપ ” મોરવા હડફ તાલુકાના પ્રમુખ તરીકે શ્રી રણજીતસિંહ ચૌહાણ સાહેબ (સ્કૂલ પ્રિન્સિપાલ)ની નિયુક્તિ કરવામાં આવી. તેમજ પંચમહાલ જિલ્લા મહિલા પ્રમુખ તરીકે આનંદીબેન બારીઆ (વકીલ)ની નિયુક્તિ કરવામાં આવી.

સભાને સંબોધનની શરુઆત જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆએ શહીદ વીર ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ ની શહીદ દિવસ ને યાદ કરી અમર રહો, ઝીંદાબાદ જેવા નારા બોલાવીને કરી હતી.
અને આમ આદમી પાર્ટી શું છે તથા આજે દેશમાં આમ આદમી પાર્ટીની જરુર કેમ છે એ વિશે વિસ્તૃત માહિતી આપી હતી.
સુરતમાં આમ આદમી પાર્ટીના ૨૭ કોર્પોરેટર ચૂંટાયા છે અને તેઓએ વેરા અને યુઝર ચાર્જ માં રાહત આપવાનો પ્રસ્તાવ મૂક્યો અને ભાજપ પ્રમુખ સી.આર.પાટીલને વેરામાં રાહત આપવા મજબૂર થવું પડ્યું. આ આમ આદમી પાર્ટીના પ્રમાણિક નેતાઓની તાકાત છે. એમ જણાવી વધુ જણાવતા કહ્યું હતું કે, ભાજપ સરકારના શાસનમાં મોંઘવારી, બેરોજગારી અને ભ્રષ્ટાચાર વધ્યો છે એ વિશે ઉદાહરણ સહિત જણાવ્યું હતું.

પ્રદેશ સંગઠન મંત્રી શ્રી જયેશભાઈ સંગાડાએ આમ આદમી પાર્ટીની સ્થાપના, સંઘર્ષ, સેવા વિશે માહિતી આપી હતી. દિલ્હીની આમ આદમી પાર્ટીની અરવિંદ કેજરીવાલજીની સરકારના કામો વિશે જણાવી લોકોને માહિતગાર કર્યા હતાં.

આજના આ કાર્યક્રમમાં પ્રદેશ સંગઠન મંત્રી જયેશભાઇ સંગાડા, જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆ, જિલ્લા મહિલા પ્રમુખ આનંદીબેન બારીઆ, જિલ્લા યુવા પ્રમુખ માસુમ વસાણી, જિલ્લા એસ.સી.સમિતિના પ્રમુખ અનિલભાઈ સુતરીયા, જિલ્લા સહમંત્રી રાજેશભાઇ ગાંધી, જિલ્લા સહમંત્રી દિનેશભાઇ જાદવ, જિલ્લા મિડિયા કન્વીનર કૃણાલભાઇ ચોહાણ, કાલોલ તાલુકા ઉપ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાઠોડ, મહામંત્રી અજયસિંહ ચૌહાણ, મોરવા હડફ તાલુકાના મહામંત્રી ભાવેશભાઈ બારીઆ વિગેરે આમ આદમી પાર્ટી પંચમહાલ જિલ્લાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમનું સફળ સંચાલન અને આભારવિધિ શ્રી નૈષધભાઇ બારીઓએ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here