રાજપીપળા(નર્મદા),
આશિક પઠાણ
નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે ડેમની જળ સપાટી 29 ઓગષ્ટ 2020 ના રોજ રાત્રે 10:00 કલાકે 130.76 મીટર નોંધાઇ હોવાનું SSNL ના કેવડીયા કોલોનીના અધિક્ષક ઇજનેર કાનુંગોએ જણાવ્યું હતું.
સરદાર સરોવર નર્મદા ડેમના 23 દરવાજા ખોલી 3 લાખ કયુસેક પાણી નર્મદા નદીમાં છોડાઈ રહ્યું હતું ત્યારબાદ સતત નર્મદા બંધમાં ઉપરવાસમાંથી પાણીની આવક વધતા રાત્રે 10 કલાકે 8 લાખ ક્યુસેક કરતા વધુ પાણી નર્મદા નદીમાં છોડવાની ફરજ પડી હતી.
ડેમમાં પાણીની આવક 7,47,286 ક્યુસેક તેમજ જાવક 8,14,454 ક્યુસેકની નોંધાઇ હોવાનું પણ ડેમ સત્તાવાળાઓ મારફતે જાણવા મળ્યું છે.
નર્મદા ડેમ ખાતે વીજ ઉત્પાદન કરતા RBPH તેમજ CHPH વીજ મથકો શરૂ કરાયા છે જેમાંથી 49,454 ક્યુસેક તેમજ ગેટમાંથી 7,65,000 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાઈ રહ્યું છે, જેથી રોજ કરોડો રૂપિયાનું વીજ ઉત્પાદન થઈ રહ્યું છે.
નર્મદા નદીમાં પાણી છોડતા નર્મદા, વડોદરા સહિત ભરુચ જિલ્લાના કાંઠાના ગામોને એલર્ટ કરાયા છે તેમજ નદી કિનારેની આસપાસના ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડૂતોને પણ ભારે નુકશાન થવાની ભીતિ સેવાઇ રહી છે.