પુરના પાણી ૪૦૦ હેકટર જમીનમાં ફરી વળતા પાક નાશ પામ્યો
૪૦૦ હેક્ટર જમીનમાં મોટું નુકશાન થતાં ખેડુતો આર્થિક રીતે પાયમાલ થઈ ગયા હોય સરકારની ખેડૂતોને આર્થિક સહાય કરવાની રાહ જોતા ખેડુતો
રાજપીપળા(નર્મદા),
આશિક પઠાણ
નર્મદા જિલ્લામાં ભારે વરસાદ પડતા કરજણ ડેમ સહિત નર્મદા ડેમના પાણી નદીઓમાં ઘોડાપુરની જેમ વહેતા પુરની પરિસ્થિતિ સર્જાઇ હતી જેથી ખેડુતોના તૈયાર ઉભા પાકમાં ભારે નુકસાન થયું છે.
નર્મદા જીલ્લાના નાંદોદ તાલુકાના ધાનપોર ગામની ૪૦૦ હેક્ટર જમીનમાં નમૅદા સરદાર સરોવર ડેમના પૂરના પાણી અને કરજણ ડેમ જળાશય યોજનાના પાણીના પૂરથી સૌથી વધારે નુકસાન ધાનપોર ગામના ખેડૂતોને આ પૂરથી થયું છે તૈયાર પાક નાશ પામ્યો છે તેમાં કેળ, શેરડી, પપૈયા, કપાસ, તુવેર, શાકભાજી અને અન્ય પાકો પૂરના કારણે ખેતરો ડુબી જવાથી નાશ પામ્યા છે. ખેડૂતોના માથે આભ તૂટી પડ્યું છે ખેડૂતોના ખેતરમાં લહેરાતા પાકો નાશ પામતા ઘણું જ મોટું નુક્સાન થયું છે.
ખેડૂતોના ખેતરો પણ ધોવાઈ ગયા છે.લાખો રૂપિયાનું નુકસાન ખેડૂતોને થતાં ખેડૂતો પાયમાલ થઈ ગયા છે અને તેમની દયનીય હાલત થઈ ગઈ હોય ત્યારે સરકારે વહેલી તકે સહાય કરવાની જરૂર જણાઈ છે. મોંઘાદાટ બિયારણો અને ખાતર, દવા, મહા મહેનતે ઉછારેલા પાકો નાશ થતાં ખેડૂતોની અત્યંત દયનીય હાલત થઈ ગઈ છે કુદરતી આફતે ધાનપોર ગામના ખેડૂતોની કમર તોડી નાખી છે. સરકાર સત્વરે મદદરૂપ થાય તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.
ખેડુતોની દયનીય હાલત હવે સરકારની સહાય કરવાની નીતિ ઉપર નિર્ભર થઇ રહી છે. સરકાર તરફ ખેડુતો મીટ માંડીને જોઇ રહ્યા છે.