કાલોલ(પંચમહાલ),
મુસ્તુફા મિર્ઝા
કાલોલ નગરપાલિકાના વોર્ડ નંબર ત્રણમાં આવેલ ઇન્દીરાનગર અને તળાવ વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો થતા જેમાં વસવાટ કરતા સંખ્યાબંધ લોકો હેરાન થઈ ગયા હતા ચોમાસામાં છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદ વરસતા કાલોલનું તળાવ ભરાઈ જવાથી તળાવના પાણી ઇન્દિરા નગર વિસ્તારમાં ઘુસ્યા જેને પરિણામે આ વિસ્તારના સંખ્યાબંધ લોકોને અન્ય સ્થળે ખસવાની ફરજ પડી હતી. તળાવ અને ઇન્દિરા નગર વિસ્તારમાં દર ચોમાસામાં આવી પરિસ્થિતિમાં નિર્માણ થાય છે આ બાબતનો વિવાદ ભૂતકાળમાં કોર્ટમાં પણ પહોંચ્યો હોવાનું જાણવા મળેલ છે, હાલમાં કાલોલ નગરપાલિકામાં નવા વરાયેલ ઉપપ્રમુખ નારાયણભાઈ કાછીયા આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા હોવાથી તેઓના ઉપર આ વિસ્તારના લોકો ખૂબ મોટી આશા રાખી રહ્યા છે. આ વિસ્તારના કેટલાક સોશિયલ મીડિયામાં પણ પાણી ભરાયાની તસવીરો અને વીડિયો વાયરલ કરી તંત્રનું ધ્યાન દોરવાનો પ્રયત્ન કરેલો છે. પાલિકા દ્વારા દર વર્ષે મોટર મૂકીને પાણી ખાલી કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે પરંતુ આ વિસ્તારમાં સ્થાનિકો પાણી ભરાવાની સમસ્યાનો કાયમી નિકાલ ઝંખી રહ્યા છે. સ્થાનિક કોર્પોરેટર અંજના મહેતાનો આ બાબતે સંપર્ક કરતા તેઓએ જણાવ્યું છે કે ચોમાસા બાદ તળાવનું બ્યુટી ફિકેશન કરવાનુ છે ત્યારે પાણીના નિકાલની પૂરતી વ્યવસ્થા કરવામાં આવશે ત્યારબાદ આ સમસ્યા રહેશે નહીં.