ગોધરા,(પંચમહાલ)
ઈશ્હાક રાંટા
કોરોના મહામારીના કારણે આશરે નવ માસ સુધી શાળાઓ બંધ રહ્યા બાદ આવતીકાલથી ધોરણ-૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓ માટે પૂરતી તકેદારીઓ સાથે શાળાઓનો ફરી પ્રારંભ થઇ રહ્યો છે, ત્યારે કૃષિ, પંચાયત અને પર્યાવરણ મંત્રીશ્રી જયદ્રથસિંહજી પરમાર સહિતના મહાનુભાવો વિદ્યાર્થીઓને આવકાર આપીને શિક્ષણનો પ્રારંભ કરાવશે. મંત્રીશ્રી જયદ્રથસિંહજી પરમાર ૧૧.૦૦ વાગ્યે હાલોલના નવા કુવા ખાતે આવેલી નૂતન હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓને આવકારશે અને શાળાની પુનઃ શરૂઆત માટે થયેલ કામગીરીનું નિરીક્ષણ કરશે. જિલ્લા શિક્ષણાધિકારી શ્રી બી.એસ પંચાલના જણાવ્યા અનુસાર આવતી કાલથી શાળાઓ શરૂ થતા અગાઉ સેનીટાઇઝેશન, સફાઈ સહિતની તકેદારીઓ પૂર્ણ કરવામાં આવી છે. વર્ગખંડમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાય તેની ખાસ તકેદારી રાખવામાં આવશે અને વિદ્યાર્થીઓને પણ આ બાબતે જાગૃત કરવામાં આવ્યા છે અને સતત આ બાબતનું ધ્યાન રાખવામાં આવશે. સરકારની માર્ગદર્શિકા અનુસાર શાળામાં વિદ્યાર્થીઓ માસ્ક સહિતની તકેદારીઓનું પાલન કરે તેનું અને વિદ્યાર્થીઓના શરીરના તાપમાન બાબતે ખાસ કાળજી રખાશે. આ પ્રસંગે ગોધરાના ધારાસભ્ય શ્રી સી.કે. રાઉલજી કેવડીયાની શ્રી વંદના વિદ્યાલય ખાતે, શહેરાના ધારાસભ્ય શ્રી જેઠાભાઇ ભરવાડ શહેરાની શ્રી એસ.જે. દવે હાઇસ્કુલ ખાતે, કાલોલના ધારાસભ્ય સુશ્રી સુમનબેન ચૌહાણ કાનોડની શ્રી કે.કે. વિદ્યામંદિર અને મહેલોલ ખાતે આવેલી શ્રી જી.ડી. શાહ એન્ડ જે.આઈ. પંડ્યા હાઇસ્કૂલ ખાતે, સરદાર સરોવર નિગમના ચેરમેનશ્રી સરદાર સિંહ વાસિયાની મુક્તજીવન સ્વામી બાપા હાઇસ્કુલ તેમજ સાંપાની શ્રી નવજીવન હાઇસ્કુલ ખાતે તેમજ જિલ્લા કલેકટર શ્રી અમિત અરોરા ગોધરાની અમન ડે સ્કૂલ ખાતે અને જિલ્લા શિક્ષણાધિકારીશ્રી બી.એસ. પંચાલ હાલોલની મોડલ સ્કૂલ ખાતે ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને આવકાર આપશે.