રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-
તિલકવાડા તાલુકાના ભાદરવા ખાતે યોજાનાર મેળા દરમ્યાન રસ્તા પરથી ભારે વાહનોનો રૂટ ડાયવર્ટ કરવા અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એ પ્રસિદ્ધ કર્યુ જાહેરનામુ
આ જાહેરનામાની અમલવારી તા.૨૬મી નવેમ્બર થી ૨૭મી નવેમ્બર ૨૦૨૩ સુધી રહેશે
આગામી તા.૨૬મી નવેમ્બર થી ૨૭મી નવેમ્બર ૨૦૨૩ સુધી તિલકવાડા તાલુકાના ભાદરવા ખાતે આવેલ ભાથીજી મહારાજ તથા શંકર ભગવાનના મંદિરે મેળો ભરાનાર છે. જેમા ગુજરાત, મહારાષ્ટ્ર તથા મધ્યપ્રદેશ રાજ્યમાંથી મોટી સંખ્યામાં લોકો નાના-મોટા વાહનો મારફતે તથા પગપાળા આવતા હોય છે. જેના કારણે મંદિર નજીકના રાજપીપળા-બરોડા-બોડેલી તરફના વાહનોની અવરજવરથી હાઇવે રોડ પર ટ્રાફીકની સમસ્યા ઉભી થાય છે અને ભેગી થનાર જનમેદનીને અવરોધરૂપ થતી હોવાથી કાયદો અને વ્યવસ્થાને અસર થાય છે. તેમજ ભારે વાહનોની અવરજવરથી અકસ્માતના કારણે જાનહાનિ થવાની શક્યતાઓ રહેતી હોય છે. જેથી મેળા દરમ્યાન રસ્તા પરથી ભારે વાહનોનો રૂટ ડાયવર્ટ કરવા અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ સી.એ.ગાંધીએ કેટલાંક કૃત્યો પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.
તા.૨૬મી નવેમ્બર થી ૨૭મી નવેમ્બર ૨૦૨૩ સુધી ભારે વાહનો રૂટ ડાયવર્ટ દેડીયાપાડા તથા રાજપીપળા તરફથી બોડેલી તરફ જતા ભારે વાહનો ખામરથી વીરપોર ચાર રસ્તા થઈ પોઈચા તરફ જશે. અને બોડેલી તરફથી રાજપીપળા આવતા ભારે વાહનો દેવલીયાથી તિલકવાડા થઈ ડભોઈ તરફ જશે. આ જાહેરનામાની અમલવારી તા.૨૫/૧૧/૨૦૨૩ ના ૦૦:૦૦ કલાકથી તા.૨૭/૧૧/૨૦૨૩ ના ૨૪:૦૦ કલાક સુધી કરવાની રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર કોઇપણ વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે.