ગોધરા,(પંચમહાલ)
કલમ કી સરકાર : સાજીદ શેખ
સૃષ્ટિના સર્જનથી લઇને કોરોનાના જન્મ સુધી અનેક સારા-નરસા બનાવો બન્યા, આંદોલનો થયા,વિપ્લવો થયા,ભૂકંપો આવ્યા,વાવાઝોડા ફૂંકાયા, નદી નાળા ઉભરાયા, છુટા-છવાયા કે પછી સમૂહમાં મહાકાય યુધ્ધો થયા…આવા અનેક કિસ્સા-કહાનીઓમાં જે તે સમયે નાના મોટા ઈતિહાસો લેખાયા હશે…!! અને એ ઈતિહાસોમાં અનેક યોધ્ધાઓએ રાજ-રજવાડા સાચવવા કે પછી સત્તાના સેંકડા ગોઠવવા પોતાની જાનની બાજી લગાવી મેદાન-એ-જંગમાં ઝંપલાવ્યું હશે…!! પણ એ તમામ બાબતો જે તે વિસ્તાર કે પછી સીમાડા પુરતી સીમિત લેખાઈ હશે…!! પરંતુ આજે સમસ્ત વિશ્વમાં કોરોના વાયરસ નામક જે માનવભક્ષી કહેર પ્રસરાય રહ્યો છે, અને દિનપ્રતિદિન કોરોનાનો વધતો સંક્રમણ દેશ, સીમા, જાતી, ધર્મ અને ઊંચ-નીંચ જોયા વગર માત્ર માનવ જીવન પર આક્રમણ કરી રહ્યો છે. આવા કપરા સમયમાં માત્રને માત્ર માનવહિત ખાતર અનેક માનવતાપ્રિય લોકો તેમજ જન રક્ષક એવા આરોગ્ય કર્મીઓ અને પોલીસ પ્રસાશન યોધ્ધાની જેમ જાનની બાજી લગાવી પોતાની પવિત્ર ફરજ નિભાવી રહ્યા છે. જેથી તેઓની ગાથાને લઈને આજે જે ઈતિહાસ લેખાઈ રહ્યો હશે એ સમગ્ર વિશ્વનાં ખૂણે-ખૂણેમાં શણગારાયેલી કલમો થકી એક જેવો જ…એકી સાથે અને એક જ વિષય પર લેખાય રહ્યો હશે…!! જેનું એક અદભૂત ઉદાહરણ ગોધરા નગરના એક સામાન્ય ઓટો રિક્ષા ચાલકે પોતાના શબ્દોમાં શણગારીને આપ્યો છે.
ગોધરા શહેરમાં છેલ્લા કેટલાય સમયથી ઓટોરિક્ષા ચલાવી પોતાના ઘર-પરિવારનું ગુજરાન ચલાવનાર સલીમભાઈ જર્દાએ પોતાના શબ્દોમાં લખ્યું છે કે....
માનનીય ભારત સરકારશ્રીના નિયમ અનુશાર તમામ રાજ્યના માન. મુખ્યમંત્રીશ્રીઓ, તમામ જીલ્લાના કલેકટરશ્રીઓ અને તમામ જીલ્લાના આરોગ્ય ખાતાના આરોગ્ય અધિકારીશ્રીઓ તેમજ મહત્વની ભૂમિકા ભજવનાર તમામ રાજ્ય અને જીલ્લા સહીત પોલીસ અધિકારીશ્રીઓએ ભેગા મળીને આપણા મહાન ભારત દેશમાં પ્રવેશ કરેલ મહામારીરૂપી કોરોના વાયરસનો પૂરેપૂરી તાકાતથી સામનો કરેલ છે, અને એ ખતરનાક મહામારી કોરોના વાયરસને 100% હરાવી એક મોટી જીત હાસિલ કરશે એ આશા અમર છે.
મારા પોતાના જ્ઞાન મુજબ એક યુગના ખતરનાક કૌરવો હતા, જેઓનો નાશ કરવા ધરતી પર માલિકની દયાથી પાંચ પાંડવો આવ્યા અને કૌરવો સાથે યુદ્ધ કર્યું જેમાં આખરે કૌરવોની હાર થઇ નાશ થયો અને પાંચ પાંડવોની જીત થઇ. એજ રીતે આ યુગમાં કૌરવોની જગ્યાએ કોરોનાએ આપણા દેશમાં દુશ્મન બની પ્રવેશ કરેલ છે જેથી આપણા મહાન ભારત દેશમાં દુશ્મન એવા કોરોના વાયરસનો નાશ કરવા પાંચ પાંડવોના રૂપમાં આવેલ મહાનુભાવો નીચે મુજબ છે.
(૧) માન. ભારત સરકારશ્રી
(૨) માન. તમામ રાજ્ય સરકારશ્રીઓ
(૩) માન. તમામ જીલ્લા કલેકટરશ્રીઓ
(૪) માન. જે તે રાજ્ય સહીત જીલ્લા પોલીસ અધિકારીશ્રીઓ
(૫) માન. જે તે રાજ્યના આરોગ્ય ખાતાના અધિકારીશ્રીઓ
કે જેઓએ પૂરેપૂરી તાકાતથી દુશ્મન એવા કોરોના વાયરસને હરાવવા રાત-દિવસ એક કરી મહેનત કરે છે, જેથી હું સલીમ જર્દા આપણા ભારતદેશનો નાગરિક હોવાથી જરૂર કહીશ કે તમામ માન. અધિકારીશ્રીઓ ના માતા-પિતાને ધન્ય છે કે આવા ઈમાનદાર, વફાદાર અધિકારીશ્રીઓને જન્મ આપ્યો છે કે પોતે દુઃખમાં રહી પ્રજાને સુખ આપે છે.
પ્રવર્તમાન સમયમાં પ્રસરાઈ રહેલા કોરોનાના કહેરને લઈને સમસ્ત દેશ સહિત ગોધરા નગરમાં પણ લોકડાઉન અમલમાં મુકાયું હતું અને હાલ લોકડાઉન-૪ નો અંતિમ દિવસ પસાર થઇ રહ્યો છે, આ લોકડાઉન દરમિયાન દરેક ધંધા-રોજગાર બંધ હોવાથી રોજ-મજુરીકામ કરી પોતાનું પેટીયું રડતા ગરીબ અને મધ્યમ પરિવારોની હાલત કફોડી બની ગઈ છે અને લોકો અભેદ શક્તિની આશાએ હાથ પર મૂકી પોતાના ઘરોમાં કેદ થયા છે, આવા કપરા સમયમાં એક સામન્ય ઓટોરિક્ષા ડ્રાઈવર પોતાના ઘર પરિવારની તકલીફોથી ઉપર ઉઠી પોતાના મહાન વિચારોને શબ્દોમાં આલેખી દેશહિતમાં સમર્પિત કરે છે અને પોતાના દ્વારા લખેલ લેખપત્રને જીલ્લા કલેકટર, પ્રાંત કચેરી, પોલીસ સ્ટેશનોમા રૂબરૂ જઈ રજુ કરે છે એ ખુબ જ આવકાર દાયક બાબત કહી શકાય…