રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-
અસરગ્રસ્ત ગામોમાં ઘરે ઘરે સર્વે સહિત લોકોને દવાઓ પૂરી પાડવામાં જિલ્લા આરોગ્ય વિભાગની ટીમો દ્વારા કરવામાં આવી રહેલ કામગીરી
નર્મદા ડેમમાંથી લાખો ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવતા નર્મદા જિલ્લાના ગરુડેશ્વર, તિલકવાડા અને નાદોદ તાલુકામાં પૂરની ભારે ગંભીર પરિસ્થિતિ સર્જાઇ હતી, ગામોમાં પણ પુર ના પાણી ફરી વળતા લોકોના ઘરોમાં પણ પાણી ઘુસ્યા હતા, અને ઠેર ઠેર પાણી ભરાતા રોગચાળાની પરિસ્થિતિ ઉભી ન થાય એ માટે નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગ સાબદુ બન્યુ છે.
ભારે વરસાદની પરિસ્થિતિને કારણે નર્મદા જિલ્લાના અસરગ્રસ્ત થયેલ વિવિધ વિસ્તારોમાં પાણીનાં યોગ્ય નિકાલ, ગંદકી ન ફેલાય અને જરૂરી સાફ – સફાઈ થાય તેમજ અસરગ્રસ્ત થયેલ તમામ વિસ્તારોમાં આજરોજ નર્મદાના તાલુકાઓના THO અને તાલુકા સુપરવાઈઝર દ્વારા વિવિધ ગામોમાં વિઝીટો કરવામાં આવી જેમાં જે કામગીરી કરવાની છે તે વિશે માર્ગદર્શન આપ્યું હતું તેમજ નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગની ટીમો દ્વારા અસરગ્રસ્ત ગામોમાં આરોગ્ય કર્મીઓ પહોંચી જઈને સર્વેની કામગીરી હાથ ધરી જરૂરિયાતમંદ લોકોને ગોળી-દવાઓનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે. સાથે પીવાના પાણીમાં ક્લોરિનેશનની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. લોકોને સ્વચ્છ અને ઉકાળેલું પાણી પીવાની સલાહ આપવામાં આવી રહી છે. તેમજ આરોગ્ય વિભાગની અલગ-અલગ ટીમો દ્વારા જુદાં જુદાં ફળિયામાં ઘરે ઘરે ફરીને કોઈ બીમાર કે તકલીફમાં નથી તેની પૃચ્છા કરવામાં આવી હતી. ઘરે ઘરે કલોરીન ટેબલેટનું પણ વિતરણ અને એન્ટીલાર્વા કામગીરી તથા બીમાર લોકોને જરૂરી દવાઓ આપવાની PHCના કર્મચારીઓ દ્વારા કામગરી ચાલી રહી છે.