ભાગ્યે જ જોવા મળતાં આવા કિસ્સામાં સંશોધન થાય તો ખેડુતો કેળાના બમણાં પાક લેતા થાય ખેતીમાં આવી શકે છે ક્રાન્તિ
રાજપીપળા(નર્મદા),
આશિક પઠાણ
રાજપીપળા પાસે આવેલા ગોપાલપુરા ગામ ખાતે કેળા ની ખેતી કરતા એક ખેડુત ના ખેતરમાં કેળ ના છોડ ઉપર કેળા ના બબ્બે લુમો લાગતા આશ્ચર્ય સર્જાયું હતું. આને કુદરતી ચમત્કાર કહેવો કે પછી બિયારણ ની ઉતક્રાન્તિ સમગ્ર વિસ્તાર મા કેળ ના છોડ ઉપર બબ્બે લુમો લાગતા આ કિસ્સો ખેડુતો મા ભારે ચર્ચાસ્પદ બન્યો હતો.
પ્રાપત માહિતી અનુસાર નર્મદા જીલ્લાના નાંદોદ તાલુકાના ગોપાલપુરા ગામ ખાતે કેળાની ખેતી કરતા નરેન્દ્રસિંહ હિમ્મતસિંહ ગોહિલના ખેતરમાં કેળના છોડ વાવ્યા હતાં, જેમા એક કેળના છોડ ઉપર કેળાના બબ્બે લુમો લાગતા આશ્ચર્ય સર્જાયું હતું. ખેડુત પોતે તેમજ ગામના અન્ય ખેડુતો કેળાના બબ્બે લુમો જોવા અધિરા બન્યા હતાં.
આ બાબતે ખેડુતોનું માનવુ છે કે આવા બનાવો ભાગ્યે જ જોવા મળતાં હોય છે, આ મામલે જો ખેતીવાડી વિભાગ આ કેળના છોડનું યોગ્ય સંશોધન કરે તો કેળની ખેતીમાં એક ક્રાન્તિ આવી શકે છે. ખેડુત જો એક જ છોડ ઉપર કેળાના બબ્બે લુમો ઉગાડતો થાય તો એક જ ખર્ચમાં બમણાં ઉત્પાદન કરી શકાય જેથી ખેડુતોની આર્થિક સધ્ધરતામાં પણ વધારો થાય. આ બનાવને ગંભીરતાથી લઇ નર્મદા જીલ્લા ખેતીવાડી વિભાગ કૃષિ તજજ્ઞો દ્વારા યોગ્ય સંશોધન હાથ ધરે એવી માંગ ખેડુતોમાં ઉઠવા પામી છે.