બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-
આદિવાસી બાહુલ્ય ધરાવતાં છોટા ઉદેપુર જિલ્લામાં વસતાં આદિવાસીઓ આદિ અનાદી કાળથી પરંપરા રહી છે કે ગામની સીમમાં બિરાજમાન આદિવાસી દેવી દેવતાના ઘોડા તેમજ લાકડામાંથી ઘડવામાં આવેલા દેવ પ્રતીકો જૂના થઈ જાય તો જૂના દેવ પ્રતીકો દૂર કરી વિધિવત રીતે ગામ લોકો ભેગા મળીને દેવો ના ઘોડા અને દેવ પ્રતીકો દૂર કરી નવા ઘોડા અને દેવ પ્રતીકો ની પેઢી બદલવાની પરંપરા ને દેવ ની પેઢી બદલવા નો રિવાજ માનવામાં આવે છે
આદિવાસી રીત રિવાજ પ્રમાણે પુનીયાવાંટ ગામમાં ૧૦૦ વર્ષ અગાઉ કરુડીયા ઇન્દ ની ઉજવણી કરી દેવો ની પેઢી નાખવાં આવી હતી અને બે મહિના પૂર્વે ગામના આગેવાનો ભેગા મળી ને સીમમાં બિરાજમાન દેવી દેવતાઓના દેવ સ્થાનો ની પેઢી બદલવા નો નિર્ણય લેવામાં આવ્યો હતો જેના ભાગરુપે રાજ્ય સભાના સાંસદ નારણ રાઠવા ના ગામમાં આવતી ૨૭ મી ડીસેમ્બર ને બુધવારના રોજ વર્ષો જૂની આ પરંપરા મુજબ કરુંડીયા ઇન્દની ઉજવણી સાથે ઇન્દ માંડવા માં આવનાર છે. જેમાં આજુબાજુ ના ૨૦ થી ૨૫ ગામના લોકો હજારો ની સંખ્યા માં વાદ્ય સંગીત ના સાધનો સાથે નાચગાન સાથે સહભાગી બનશે,
જિલ્લા ના આદિવાસીઓ પ્રકૃતિ પુજા માં માને છે, જેથી ગામ માં માનવ સમુદાય સહિત ઢોરઢાંખર સૌ સાજા માજા રહે, ગામમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ અને સૌની તંદુરસ્તી જળવાઈ રહે તેવી માન્યતા સાથે આસ્થાભેર આખા ગામ ના લોકો માત્ર બાફેલું જમવા નું જમીન પર પથારી કરી સૂવાનું વ્રત પાડી આદિવાસી સમાજના રીત રીવાજો મુજબ ગામની સીમમાં આવેલ ૨૦ જેટલાં દેવી દેવતાઓના દેવ સ્થાનો ની વિધિ વિધાન સાથે પેઢી બદલવા માટેની વિધિ માં જોતરાયા છે,
ગામના દેવો ની પેઢી બદલવાની વિધિ વિશે જાણકારી આપતા ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ રાજુભાઈ રાઠવા જણાવે છે કે પુનીયાવાંટ ગામમાં આ અગાઉ ૧૦૦ વર્ષ પૂર્વે દેવોની પેઢી બદલવામાં આવી હતી, એ બાદ આ વર્ષે ગામનાં લોકો ભેગા મળી દેવો ની પેઢી બદલવા નો નિર્ણય લેતા, ગામનાં ૪૦૦ પરિવારો માં પ્રત્યેક પરિવાર દીઠ ૨૫૦૦ રૂપિયા નો ફંડ ફાળો એકત્રિત કરતા ૧૦ લાખ રૂપિયા ના ખર્ચે દેવો ની પેઢી બદલવા નો ઉત્સવ ઉજવવાના કામમાં છેલ્લાં ૧ મહિના થી જોતરાયા છીએ. અને હાલ કરુંડીયા ઇન્દ ની ઉજવણી પ્રસંગે બળવા દ્વારા આઠ દિવસથી ઘાયનારૂપી કથા કરી પુજા વિધી કરી નવમા દિવસે ૨૭ તારીખે ને બુધવારે અખાડો માંડવામાં આવનાર છે, હાલ સાગના લાકડામાંથી ગામમાં બિરાજમાન તમામ દેવી દેવતાના દેવ પ્રતીકો (જેને આદિવાસી ભાષામાં દેવ પ્રતીકો ખૂંટડા કહે છે) ઘડવાની અને રંગ રોગાન કરી દેવો ના દેવ પ્રતીકો બદલવાની કામગીરીમાં જોતરાયા છીએ
પુનીયાવાંટ ગામના આંગણે આવેલા રૂડાં અવસર વિશે પૂર્વ ઉપસરપંચ જ્યોતિ નાયક જણાવ્યું હતું કે ૧૦૦ વર્ષ બાદ અમારા ગામમાં દેવો ની પેઢી બદલવા નો અવસર પ્રાપ્ત થયો છે એટલે ગામની મહિલાઓમાં પણ અનેરો ઉત્સાહ છે, અમારા ગામની મોટા ભાગની મહિલાઓ એક જ પ્રકારના વસ્ત્રો ની થીમ નક્કી કરી છે અને હાલ દેવો ની પેઢી બદલવા ના ઉજવાઈ રહેલા ઉત્સવ ને ઉજવવા અમે બધી મહિલાઓ અમારા પરંપરાગત વસ્ત્રો ધારણ કરી અમારી પરંપરા જળવાઈ રહે તે દિશા માં અમે કામે લાગ્યા છીએ,
ગામની સીમમા બિરાજમાન તમામ આદિવાસીઓના દેવી દેવતાના ઘોડાને ગણીને મધ્યપ્રદેશ ના કઠિવાડા ગામે કુંભારને પાકી માટીના ઘોડા ઘડવાનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. જે ત્યાં થી વાજતે ગાજતે સામૈયા ના રૂપમાં લાવવામાં આવ્યા છે,
દેવો ની પેઢી બદલતા પહેલાં ગામ ચોખ્ખું કરવા કાહટી કાઢવામાં આવે છે
૧૦૦ વર્ષ બાદ પુનીયાવાંટ ગામ માં દેવો ની પેઢી બદલતા પહેલાં ગામ ચોખ્ખું કરવાની વિધી યોજવામાં આવતી હોય છે, જેને આદિવાસી ભાષામાં કાહટી તરીકે ઓળખવામાં આવે છે,
આ અંગે વાત કરતા હરેશ રાઠવા જણાવે છે કે અમારાં પુનીયાવાંટ ગામ માં બીજી ડીસેમ્બર ના રોજ ગામનો ઉતારો કાઢી ગામ ચોખ્ખું કરવાની વિધી કરવામાં આવી હતી, જેમાં રાત્રીના સમયે બળવા એ જણાવ્યા મુજબ જૂના સૂપડાં સાવરણી હાંડલા ને એક લાંબા લાકડાં માં પહરોવી ગામ ની સીમ ની બહાર નાની દુમાલી ગામની સીમ માં મૂકી આવવામાં આવ્યા હતા જેને અમે ગામ ચોખ્ખું કરવા કાહટી કાઢી તેમ કહીએ છીએ.