સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતા નગર ખાતે 16-18 ડિસેમ્બર દરમ્યાન ‘વાર્ષિક સાહસ પ્રવાસન સંમેલન 2023’ યોજાશે

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કાર્યક્રમમાં સંબોધન કરશે

વાર્ષિક સાહસ પ્રવાસન સંમેલન 2023 કાર્બન-નેગેટિવ અને સિંગલ-યુઝ-પ્લાસ્ટિક ફ્રી કાર્યક્રમ રહેશે

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ની પ્રિ-ઇવેન્ટ તરીકે, સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતા નગર ખાતે 16 થી 18 ડિસેમ્બર દરમિયાન વાર્ષિક એડવેન્ચર ટુરીઝમ કન્વેન્શન 2023 યોજાઈ રહ્યું છે. ગુજરાતના પ્રવાસન નિગમના સમર્થન સાથે એડવેન્ચર ટૂર ઓપરેટર્સ એસોસિયેશન ઓફ ઈન્ડિયા (ATOAI) દ્વારા આયોજિત આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય ઉદ્યોગોમાં ચાલતા નવીન ટ્રેન્ડ્સ પર ચર્ચા કરવાનો, નિયમનકારી પ્રણાલી સ્થાપિત કરવાનો અને રાજ્યમાં સાહસ પ્રવાસનના (એડવેન્ચર ટુરીઝમ) વિકાસનું આયોજન કરવાનો છે. આ કાર્યક્રમમાં ATOAI તરફથી સલામતી માર્ગદર્શિકા અપનાવવા, પ્રવાસન મંત્રાલયના ધોરણોને અનુસરવા અને ‘લિવ નો ટ્રેસ’ અભિગમને પ્રમોટ કરવા પર ભાર મૂકવામાં આવશે.

ATOAI સંમેલન માત્ર એક બેઠક નથી; તે સહયોગ, નવીનતા અને ટકાઉ પ્રથાઓને પ્રોત્સાહન આપતા સ્વપ્નદ્રષ્ટાઓનો મેળાવડો છે. વાર્ષિક એડવેન્ચર ટુરીઝમ કન્વેન્શનનો ધ્યેય ટકાઉ, જવાબદાર અને સલામત પ્રથાઓને પ્રોત્સાહન આપીને વિશ્વભરના ટોચના 10 સાહસ પ્રવાસન સ્થળોમાં ભારતનું રેન્કિંગ વધારવાનો છે. આ કાર્યક્રમને પર્યાવરણને અનુકૂળ બનાવવામાં આવશે. આ પ્રકારના કાર્યક્રમો દ્વારા કેટલા કાર્બનનું ઉત્સર્જન થાય છે તે માટે ‘કાર્બન નેગેટિવ’ તરીકે આ કાર્યક્રમ આયોજિત થશે. જેમાં કાર્બન કન્વેન્શન અંતર્ગત કાર્બન ફુટપ્રિન્ટ ગણવામાં આવશે અને તેને સંતુલિત કરવા માટે વૃક્ષારોપણ કરવામાં આવશે. પર્યાવરણન જતન અને ટકાઉપણાનો મજબૂત સંદેશ તમામ હિતધારકો સુધી પહોંચાડવામાં આવશે. આ કાર્યક્રમમાં સિંગલ-યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં નહિ આવે.

આ કાર્યક્રમમાં ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી, પેમા ખંડુ, ગુજરાતના પ્રવાસન મંત્રી, મુળુભાઈ બેરા, કેન્દ્રીય પ્રવાસન મંત્રાલયના સચિવ, સુશ્રી વી. વિદ્યાવતી, ગુજરાત પ્રવાસન વિભાગના સચિવ, હારીત શુક્લા, ATOAI પ્રમુખ, પદ્મશ્રી અજીત બજાજ, ડેપ્યુટી ચીફ ઓફ ધ આર્મી સ્ટાફ DCOAS (IS&C), લેફ્ટનન્ટ જનરલ રાકેશ કપૂર અને ગુજરાત ટુરીઝમના મેનેજિંગ ડિરેક્ટર, ડૉ. સૌરભ પારધી સંબોધન કરશે.

પત્રકાર પરિષદ દરમિયાન પ્રવાસન સચિવ હારીત શુક્લાએ આ કાર્યક્રમ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, “એડવેન્ચર ટુરીઝમ વૈશ્વિક જીડીપીમાં નોંધપાત્ર યોગદાન આપે છે અને તે સૌથી મોટા વિશિષ્ટ બજાર તરીકે ઓળખાય છે. ATOAIના સહયોગથી, અમે ગુજરાતમાં એડવેન્ચર ટુરીઝમને એક્સ્પ્લોર કરીશું અને સમગ્ર ગુજરાતમાં એડવેન્ચર પ્રવૃત્તિઓ થાય તેના પર ધ્યાન કેન્દ્રિત કરીશું. અમારો ઉદ્દેશ આગામી 2થી 3 વર્ષમાં રાજ્યને એક મુખ્ય એડવેન્ચર ટુરીઝમ ડેસ્નિટેશન તરીકે સ્થાપિત કરવાનો છે.”

તેમણે વધુમાં જણાવ્યું કે, “ભારત, તેના વૈવિધ્યસભર લેન્ડસ્કેપના લીધે, એડવેન્ચર ટુરિઝમમાં વૈશ્વિક લીડર બનવાની અપાર સંભાવનાઓ ધરાવે છે કારણ કે 2022માં ટ્રાવેલ અને ટુરિઝમ સેક્ટરે વૈશ્વિક જીડીપીમાં 7%થી વધુ ફાળો આપ્યો હતો. આ ક્ષેત્ર વાર્ષિક 6-7%ના દરે વૃદ્ધિની સાથે 2047 સુધીમાં $25-30 ટ્રિલિયન સુધી પહોંચવાની સંભાવના છે.”

ગુજરાતમાં આ સંમેલન રાજ્યના વિકાસ માટે, ખાસ કરીને એડવેન્ચર ટુરીઝમમાં રહેલી વ્યાપક સંભાવનાઓને ઉજાગર કરવા માટે આયોજન કરવામાં આવી રહ્યું છે. આ પ્રકારના આયોજનથી રાજ્યમાં તાત્કાલિક આર્થિક પ્રોત્સાહન ઉપરાંત રાજ્યમાં એડવેન્ચર ટુરીઝમના વિકાસને પણ ઘણો ફાયદો મળી શકે છે. આ સંમેલન ગુજરાતના વૈવિધ્યસભર લેન્ડસ્કેપ્સ અને સમૃદ્ધ સંસ્કૃતિને રજૂ કરે છે, જે ભારત અને આંતરરાષ્ટ્રીય સાહસિકોને આકર્ષિત કરવામાં મદદરૂપ બનશે. સ્થાનિક અર્થવ્યવસ્થામાં યોગદાન આપવાની સાથે, આ કાર્યક્રમની મદદથી નોકરીની નવી તકો પણ પેદા થાય છે. એડવેન્ચર ટુરીઝમ વિશ્વભરમાં વધુ લોકપ્રિય બની રહ્યું છે ત્યારે સ્થાનિક સમુદાયોને સશક્ત કરવા, રાજ્યના દૂરના વિસ્તારોમાં ટકાઉ વિકાસને પ્રોત્સાહિત કરવા અને અર્થતંત્રને વેગ આપવા માટેની તકો ઊભી કરવા માટે ગુજરાત સક્રિયપણે કામ કરી રહ્યું છે.

ATOAI સંમેલનમાં મહેમાનો અને સહભાગી વિશ્વની સૌથી ઊંચા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર ડેમની મુલાકાત લેશે. સંમેલનમાં પ્રદર્શનો, થીમેટિક એડવેન્ચર્સ, સાહસિક પ્રવૃત્તિઓ, સત્રો, ATOAI પુરસ્કારો, પેનલ ચર્ચાઓ અને સાંસ્કૃતિક પ્રદર્શન પણ યોજાશે. વધુમાં, આ ત્રિ-દિવસીય સંમેલન દરમિયાન ‘એડવેન્ચર ટુરીઝમ માટે નેશનલ સ્ટ્રેટેજી ઓફ ઈમ્પ્લીમેન્ટેશન’ અને ‘ડેવલપિંગ એડવેન્ચર ટુરીઝમ’ પર વિશેષ સત્રોનું આયોજન કરવામાં આવશે. આ સત્રોમાં, ટ્રાવેલ ફોર લાઇફ પ્રોગ્રામને પ્રોત્સાહન આપવાની સાથે, રાજ્યો દ્વારા શ્રેષ્ઠ પ્રથાઓ પણ શેર કરવામાં આવશે.

ATOAI, વાર્ષિક સાહસ પ્રવાસન સંમેલન, ઉદ્યોગ વ્યાવસાયિકો માટે ભારતમાં સાહસિક પ્રવાસનના ભાવિને સહયોગ આપવા, શીખવા અને આકાર આપવા માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ તરીકે સેવા આપશે. આ સંમેલન સાહસ પ્રવાસનને પસંદ કરતા પ્રવાસીઓ, નિષ્ણાંતો, સંચાલકો અને નીતિ નિર્માતાઓને સાહસ પ્રવાસનના ભાવિને આકાર આપવા માટે એકસાથે લાવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here