શહેરા, (પંચમહાલ) ઇમરાન પઠાણ :-
“પાણીના ટીપે ટીપેથી બને છે મહાસાગર, પાણીથી જ જીવન થાય છે ઉજાગર”
સરકારશ્રીના પ્રયાસોથી જળ સંચય અને જનભાગીદારીનો આ ઉત્સવ આજે તહેવારરૂપી અભિયાન બન્યું છે-ધારાસભ્યશ્રીમતી નિમિષાબેન સુથાર
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૨૩ અંતર્ગત તળાવો, ચેકડેમો ઉંડા કરવાનું કાર્ય ઝંબેશરૂપે હાથ ધરવામાં આવેલ છે. જે અન્વયે પંચમહાલ જિલ્લામાં આજે સુજલામ સુફલામ જળ અભિયાન –૨૦૨૩નો શુભારંભ કાર્યક્રમ પૂર્વ મંત્રી અને મોરવા હડફના ધારાસભ્યશ્રીમતી નિમિષાબેન સુથારની હાજરીમાં જિલ્લાના શહેરા તાલુકાના સુરેલી ગામ ખાતેથી
યોજાયો હતો.કાર્યક્રમની શરૂઆતમાં ધારાસભ્યશ્રીએ સુરેલી સ્થિત તળાવ ખાતે પહોંચીને જળ અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો.કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને મહાનુભાવોના સ્વાગત થકી કરાઈ હતી.શાળાની બાળકીઓ દ્વારા પ્રાર્થના અને સ્વાગતગીત રજૂ કરાયું હતું.મહાનુભાવોએ બાળકીઓને પ્રોત્સાહિત કર્યા હતા.
આ પ્રસંગે ધારાસભ્યશ્રીમતી નિમિષાબેન સુથારે પોતાના ઉદ્દબોધનમાં જણાવ્યું હતું કે સુજલામ સુફલામ જળ અભિયાન એ જનભાગીદારી થકી આજે તહેવારનારૂપે ઉજવણી કરાય છે,રાજ્યસરકારશ્રીના પ્રયાસોથી આજે આ અભિયાન સફળ થયું છે અને છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યમાં જળસંચયને લઈને શ્રેષ્ઠ કામગીરી થઇ છે.આજે આપણા સુરેલી ગામમાં જ પાણીના સંપની ટાંકી બની છે અને આવનાર સમયમાં બીજા બે પાણીના સંપ પણ ચાલુ કરાશે. તેમણે પાણી બચાવની સાથોસાથ પાણીનો વ્યય ના થાય તેનું ધ્યાન રાખવા અનુરોધ કર્યો હતો. આ સાથે તેમણે ઉપસ્થિત ખેડૂતોને ગાય આધારિત તથા પ્રાકૃતિક ખેતીને લઈને માહિતી આપી હતી.
આ પ્રસંગે આરોગ્ય સમિતિના ચેરમેન શ્રી એ પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે તળાવ જોડાણની કામગીરી શરૂ કરાઈ છે જેનો લાભ શહેરા અને ગોધરાના પૂર્વ ગામડાઓને મળી રહેશે. આ સાથે કડાણા ડેમમાંથી વહી જતું વધારાનું પાણી પાનમ જળ સિંચાઇ ખાતે નાખવામાં આવશે તેવું જણાવ્યું હતું. જિલ્લા અગ્રણી શ્રી અશ્વિનભાઈ પટેલે મહિલા સશક્તિકરણ, પાણીનું મહત્વ, નળ સે જળ યોજનાની ઉપલબ્ધિઓ વિશે વાત કરી હતી.
પંચમહાલ જિલ્લામાં ચાલુ વર્ષે ૧૫૦થી વધુ તળાવો ઊંડા કરવા,ચેકડેમની સાફ સફાઈ, ૧૦થી વધુ નદીઓને પુનર્જીવિત કરવી વગેરે જેવા કાર્યોનો આરંભ કરાશે.
આજના પ્રસંગે પાનમ કાર્યપાલકશ્રી વી.આર.તલાર દ્વારા શાબ્દિક સ્વાગત અને નાયબ કાર્યપાલકશ્રી એ.ડી.વ્યાસ દ્વારા આભારવિધિ રજૂ કરાઈ હતી.
આ તકે જિલ્લા અને તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ,જિલ્લા ન્યાય સમિતિના ચેરમેન,તાલુકા વિકાસ અધિકારીશ્રી સહિત પાનમ વિભાગના અધિકારીશ્રીઓ/કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં ગ્રામ લોકો ઉપસ્થિત રહ્યા હતા.