શહેરા,(પંચમહાલ)
ઈમરાન પઠાણ
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં આવેલ મંગલપુર પ્રાથમિક શાળાના શિક્ષકોએ બાળકોને શાળામાં બોલાવી તેમની પાસે સાફસફાઈ કરાવવામાં આવી હતી.કોરોના મહામારી વચ્ચે સરકાર દ્વારા તમામ શાળા-કોલેજોમાં શિક્ષણ કાર્ય બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે, ત્યારે સરકારના નિયમોને નેવે મુકી તા.૧ ઓક્ટોબરના રોજ મંગલપુર પ્રાથમિક શાળાના શિક્ષકોએ શાળામાં અભ્યાસ કરતાં બાળકોને શાળામાં બોલાવી સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક વગર સફાઈ કરાવતા નજરે પડ્યા હતા.જોકે સરકાર દ્વારા શાળા કોલેજોમાં સ્વછતા અને સફાઈ માટે હજારો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે ત્યારે તેનો સદઉપયોગ થાય છે કે કેમ અને તે ગ્રાન્ટની રકમ ક્યાં વાપરવામાં આવતી હશે તે પણ એક તપાસનો વિષય છે. ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીમાં શિક્ષણમંત્રી દ્વારા શાળા કોલેજોમાં શિક્ષણ કાર્ય બંધ રાખવાના આદેશો વચ્ચે આ શાળામાં બાળકોને બોલાવી સફાઈ કરાવવામાં આવી તે કેટલું યોગ્ય ગણી શકાય ! શુ શાળામાં આવતા બાળકો પાસે સફાઈ કરાવવી યોગ્ય છે કે પછી શિક્ષકો અને આચાર્ય પોતાની મનમાની ચલાવતા હશે તે પણ એક પ્રશ્ન થઈ પડયો છે, જો આ અંગે જિલ્લા શિક્ષણ અધિકારી યોગ્ય તપાસ કરે તો સત્ય હકીકત બહાર આવે તેમ છે.
મંગલપુર પ્રાથમિક શાળામાં બાળકોને પાસે સફાઈ કરાવવા બાબતે શાળાના આચાર્યને પૂછતાં તેઓએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે તા.૨ ઓક્ટોબરના રોજ કોવિડ-૧૯ અંતર્ગત જિલ્લાનો હેન્ડ વોસ કાર્યક્રમ હોવાથી તેને સમજે તે માટે બાળકોને બોલવાયા હતા અને સફાઈ કામદાર સાથે બાળકો ઘાસ ઉખેડતા હતા,જ્યારે જિલ્લા શિક્ષણ અધિકારીએ શહેરા બી.આર.સી. મારફતે માહિતી મેળવી ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે કોઈ બાળકો પાસે સફાઈ નથી કરાવતા ત્યાં સફાઈ કામદાર હાજર જ હતો ત્યારે બે-ચાર બાળકો શાળામાં આવ્યા હતા અને આ બાબતે તાલુકા શિક્ષણ અધિકારી દ્વારા વધુ તપાસ કરાવાશે.