રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-
30 લાખ નોકરીઓ, ગરીબ મહિલાઓ ને વર્ષે 1 લાખ રૂપિયા, ખેડૂતો માટે MSP નો કાયદો બનાવવાની ગેરંટી
કોંગ્રેસનો મેનીફેસ્ટો દેશના રાજકીય ઇતિહાસમાં ન્યાયના દસ્તાવેજ સમાન —કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જન ખડગે
કોંગ્રેસ પાર્ટીએ લોકસભા ચૂંટણની 2024 માટે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. આ ચૂંટણી ઢંઢેરો 5 ‘ન્યાય’ અને 25 ગેરંટી પર આધારિત છે. પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી અને કૉંગ્રેસ અગ્રણી રાહુલ ગાંધીએ કોંગ્રેસ કાર્યાલયમાં મેનિફેસ્ટો આજરોજ જાહેર કર્યો હતો.
દેશની પ્રવર્તમાન પરિસ્થિતિને નજર સમક્ષ રાખી ને કોંગ્રેસે પોતાનો મેનિફેસ્ટો દેશ ની જનતા સમક્ષ રજૂ કર્યો છે.
કોંગ્રેસના મેનિફેસ્ટોમાં મોટી વાતોની વાત કરવામાં આવે તો તેમાં કેન્દ્ર સરકારમાં 30 લાખ નોકરી, ગરીબ પરિવારની મહિલાઓને એક લાખ રૂપિયા વાર્ષિક, જાતિ જનગણના, MSP કાયદો, મનરેગા મજૂરી 400 રૂપિયા, તપાસ એજન્સીઓના દૂરઉપયોગને રોકવા અને PMLA કાયદામાં બદલાવની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે જ સચ્ચર કમિટીની ભલામણોને લાગુ કરવામાં પણ જાહેરાત કરી છે. કોંગ્રેસ અનુસાર, તેના મેનિફેસ્ટોમાં પાર્ટીના પાંચ ન્યાય પર આધારિત છે.
કોંગ્રેસના મેનિફેસ્ટો પર કૉંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે એ જણાવ્યુ હતુ કે અમારૂ આ મેનિફેસ્ટો દેશના રાજકીય ઇતિહાસમાં ‘ન્યાયના દસ્તાવેજ’ ના રૂપમાં યાદ કરવામાં આવશે. રાહુલ ગાંધીના નેતૃત્વમાં ચલાવવામાં આવેલી ‘ભારત જોડો ન્યાય યાત્રા’ પર કૉંગ્રેસ નો મેનીફેસ્ટો કેન્દ્રિત છે. યાત્રા દરમિયાન પાંચ સ્તંભ- યુવા ન્યાય, ખેડૂત ન્યાય, નારી ન્યાય, શ્રમિક ન્યાય અને ભાગીદારી ન્યાયની જાહેરાત કરવામાં આવી હતી. આ પાંચ સ્તંભોમાંથી 25 ગેરંટી નીકળે છે અને દરેક 25 ગેરંટીમાં કોઇને કોઇને લાભ મળે છે.
કોંગ્રેસના ન્યાય પત્રની મુખ્ય જાહેરાતો….
કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરી દીધો છે. તેમાં પાર્ટીએ ઘણી જાહેરાતો કરી છે.
• જાતિઓ અને પેટા જાતિઓ અને તેમની સામાજિક-આર્થિક પરિસ્થિતિઓની ગણતરી કરવા માટે દેશવ્યાપી સામાજિક-આર્થિક અને જાતિ વસ્તી ગણતરી હાથ ધરવામાં આવશે. ડેટાના આધારે સકારાત્મક એક્શન એજન્ડાને મજબૂત બનાવવામાં આવશે
• SC, ST અને OBC માટે અનામત મર્યાદા 50 ટકા સુધી વધારાશે
• આર્થિક રીતે નબળા વર્ગો (EWS) માટે નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં 10 ટકા અનામત કોઈપણ ભેદભાવ વિના તમામ જાતિઓ અને સમુદાયો માટે લાગુ કરવામાં આવશે
• SC, ST અને OBC માટે આરક્ષિત જગ્યાઓની તમામ બેકલોગ ખાલી જગ્યાઓ પર એક વર્ષની અંદર ભરતી
• કોંગ્રેસ સરકારી અને જાહેર ક્ષેત્રના સાહસોમાં નિયમિત નોકરીઓની કોન્ટ્રાક્ટ સિસ્ટમ નાબૂદ કરશે
• ઘર બનાવવા, વ્યવસાય શરૂ કરવા અને મિલકત ખરીદવા માટે SC અને STને સંસ્થાકીય ધિરાણ આપવામાં આવશે
• જમીન ટોચમર્યાદા અધિનિયમ હેઠળ ગરીબોને સરકારી જમીન અને ફાજલ જમીનના વિતરણ પર દેખરેખ રાખવા માટે એક ઓથોરિટીની સ્થાપના કરવામાં આવશે
• SC અને ST સમુદાયોના કોન્ટ્રાક્ટરોને વધુ જાહેર કામના કોન્ટ્રાક્ટ આપવા માટે જાહેર પ્રાપ્તિ નીતિનો વ્યાપ વિસ્તારવામાં આવશે
• ખાસ કરીને ઉચ્ચ શિક્ષણ માટે OBC, SC અને ST વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિની રકમ બમણી કરવામાં આવશે. એસસી અને એસટી વિદ્યાર્થીઓને વિદેશમાં અભ્યાસ કરવા અને પીએચડી કરવા માટે મદદ કરવા માટે શિષ્યવૃત્તિની સંખ્યા બમણી કરવામાં આવશે
• ગરીબ, SC અને ST વિદ્યાર્થીઓ માટે રેસિડેન્શિયલ સ્કૂલનું નેટવર્ક બનાવવામાં આવશે અને દરેક બ્લોક સુધી તેને વિસ્તારવામાં આવશે
આમ કૉંગ્રેસ પાર્ટી એ જાહેર કરેલા મેનીફેસ્ટો માં સમાજ ના તમામ વર્ગો ને આવરી લેવામાં આવ્યા હોય આ મેનિફેસ્ટો દેશ ની જનતા કેટલો સ્વીકારે છે અને સત્તા ના સિંહાસન પર કૉંગ્રેસ પાર્ટી ને બેસાડે છે કે કેમ એ આવનારા દિવસોમાં જોવું રહ્યું.