મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો ઉદ્દેશ વાવણીથી લઇને તેના વેચાણ સુધી ખેડૂતોને સહાયરૂપ થવાનો રહેલો છે : ચેરમેન ગૌતમભાઇ ગેડીયા

રાજપીપળા,(નર્મદા)
આશિક પઠાણ

ગત વર્ષે ૯.૩ ટકાની વૃધ્ધિ સાથે ખેતપેદાશમાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ સ્થાને રહ્યું છે

કોરોનાની વૈશ્વિક મહામારીમાં સમાજના છેવાડાના માનવીને સહાયરૂપ થવાની સાથોસાથ ખેડૂતોને પણ કોઇ તકલીફ ન પડે તેની ચિંતા સરકારે કરી છે : સાંસદ મનસુખભાઇ વસાવા

સમગ્ર ગુજરાતમાં આજથી મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાના રાજ્યવ્યાપી પ્રારંભની સાથે નર્મદા જિલ્લામાં પણ થયેલો શુભારંભ : દેડીયાપાડામાં પણ કાર્યક્રમ યોજાયો

રાજપીપલામાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંગે ખેડૂત માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો

ગુજરાતના ડૉ. આંબેડકર અંત્યોદય વિકાસ નિગમના ચેરમેન ગૌતમભાઇ ગેડીયા, સંસદસભ્ય મનસુખભાઇ વસાવા, જિલ્લા કલેક્ટર મનોજ કોઠારી, જિલ્લા વિકાસ અધિકારી ડૉ. જીન્સી વિલીયમ, અગ્રણી ગજેન્દ્રસિંહ જાડેજા, સતીષભાઇ સોલંકી, કૃષિ વિભાગના અધિકારીશ્રીઓ તેમજ નાંદોદ-ગરૂડેશ્વર તથા તિલકવાડા તાલુકાના ખેડૂત ભાઇ-બહેનોની ઉપસ્થિતિમાં આજે રાજપીપલામાં સરદાર ટાઉન હોલ ખાતે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાના યોજાયેલા રાજ્યવ્યાપી લોન્ચીંગ કાર્યક્રમ સાથેનાં ખેડૂત માર્ગદર્શન કાર્યક્રમને દિપ પ્રાગટ્ય દ્વારા ખૂલ્લો મૂકાયો હતો. તેવી જ રીતે દેડીયાપાડામાં કૃષિ ઇજનેરી અને પોલીટેકનીક કોલેજ ખાતે બપોર બાદ યોજાયેલા કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો.
મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો શુભારંભ કરાવતાં ડૉ. આંબેડકર અંત્યોદય વિકાસ નિગમના ચેરમેનશ્રી ગૌતમભાઇ ગેડીયાએ જણાવ્યું હતું કે, સરકાર ના સંવેદનશીલ અભિગમથી સમગ્ર રાજ્યભરમાં આજથી પ્રારંભાયેલી મુખ્યમંત્રી કિસાન સહાય યોજનનો ઉદ્દેશ વાવણીથી તેના વેચાણ સુધીની વ્યવસ્થામાં ખેડૂતોને સહાયરૂપ થવાનો રહેલો છે. જેમાં ૭ જેટલાં માપદંડો આવરી લેવાયેલ છે. આગામી ૨૦૨૨ માં ખેડૂતોની આવક બમણી કરવાના દેશના વડાપ્રધાનશ્રીના નિર્ધારને ફળિભૂત કરવા રાજ્ય સરકારે ખેડૂતોને ઉપયોગી કૃષિલક્ષી અનેક પગલાંઓ થકી સહાયરૂપ થઇ રહી છે. ગત વર્ષે ગુજરાત ૯.૩ ટકાની વૃધ્ધિ સાથે ખેતપેદાશમાં સમગ્ર દેશમાં પ્રથમ નંબરે રહ્યું હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની સાથોસાથ આત્મનિર્ભર ભારત અંતર્ગત ખેડૂતો માટે નવી યોજનાઓની પણ સમજ દ્વારા ખેડૂતોને માર્ગદર્શન પુરૂં પાડવા માટે યોજાયેલા ઉક્ત કાર્યક્રમમાં વધુમાં શ્રી ગેડીયાએ જણાવ્યું હતું કે, ખેડૂતોને ખરીફ પાકમાં અનાવૃષ્ટિ કે અતિવૃષ્ટિ સામે વિમાના સુરક્ષા કવચ સાથે ખરીફ પાકની સંપૂર્ણપણે ચિંતા સરકાર કરશે. તેમણે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં આવરી લેવાયેલ તમામ પાસાંઓની વિસ્તૃત જાણકારી આપતાં ઉમેર્યું હતું કે, પ્રધાનમંત્રી કિસાન સમ્માન નીધિમાં નર્મદા જિલ્લામાં લાભાર્થી ખેડૂતોના બેન્ક ખાતામાં રૂા.૯૪ કરોડની રકમ જમા કરાઇ છે. તેમણે સરકાર ની પ્રજાલક્ષી કલ્યાણકારી યોજનાઓનો મહત્તમ લાભ છેવાડાના માનવી સુધી પહોંચે તે રીતની કાર્યશૈલી થકી પોતાની કામગીરીથી આત્મસંતોષ થાય તે જોવા સૌ કર્મયોગીઓને ખાસ અનુરોધ કર્યો હતો.
સંસદસભ્ય મનસુખભાઇ વસાવાએ તેમના ઉદબોધનમાં જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર પ્રજાહિતના કાર્યો થકી સમાજના છેવાડાના માનવીના ઉત્થાન માટે કટિબધ્ધ છે. હાલની કોરોનાની વિશ્વવ્યાપી મહામારીમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા લોકોને સહાયરૂપ થવા થયેલી કામગીરીને બિરદાવવાની સાથોસાથ જગતના તાત-ખેડૂતોને પણ આવા સંજોગોમાં કોઇ તકલીફ ન પડે તેની સરકારે ચિંતા કરીને કોરોનામાં પણ ઉત્તમ પ્રકારની પ્રજાકીય સેવા સાથેનું સુશાસન પુરૂં પાડ્યું છે. ગત વર્ષે પાક નુકશાનીના વળતર પેટે જિલ્લાના ૩૩,૧૧૩ ખેડૂતોને રૂા.૩૪.૧૪ કરોડની સહાય ચૂકવવામાં આવી છે. ખેડૂતમિત્રોને પોતાના અન્ય ખેડૂતો સુધી કૃષિલક્ષી યોજનાઓની જાણકારી પહોંચાડવાની સાથોસાથ ગામના સરપંચશ્રીઓનો પણ તેમાં વિશેષ સહયોગ મળી રહે તે જોવા તેમણે ખાસ અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે ગરૂડેશ્વર એ.પી.એમ.સી.ના ચેરમેન જયંતીભાઇ તડવી સહિત નાંદોદ, ગરૂડેશ્વર અને તિલકવાડા તાલુકાના અગ્રણીઓ, વડોદરા વિભાગીય કચેરીના નાયબ ખેતી નિયામક ડૉ. રીકેશ ભટ્ટ, જિલ્લા ખેતીવાડી અધિકારી નિલેશ ભટ્ટ, આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટર એસ.કે. ઢીમર, ખેડૂત ભાઇ-બહેનો વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.
પ્રારંભમાં જિલ્લા ખેતીવાડી અધિકારી ડૉ. નિલેશ ભટ્ટે તેમના સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી કાર્યક્રમની રૂપરેખા આપી હતી અને અંતમાં આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટર એસ.કે. ઢીમરે આભારદર્શન કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here