શહેરા, (પંચમહાલ) ઇમરાન પઠાણ :-
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના સરાડીયા ગામે પ્રાથમિક શાળા ખાતે તા. ૩૧-૦૫-૨૦૨૩ ના રોજ જિલ્લા કલેકટરશ્રી આશિષ કુમારની અધ્યક્ષતામાં રાત્રીસભા યોજાઈ હતી. આ સભામાં ગામના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા તથા વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ દ્વારા રાજ્ય સરકારશ્રીની ચાલતી વિવિધ યોજનાકીય બાબતોની માહિતી રજૂ કરાઈ હતી. આ સાથે સ્થળ પર જ વિવિધ પ્રશ્નોનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.ગ્રામલોકોએ પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા જેનો જિલ્લા કલેકટરશ્રીએ ત્વરિત નિકાલ લાવવા સબંધીત ખાતાના વડાને અનુરોધ કર્યો હતો.
આ સાથે સરકારશ્રીની કલ્યાણકારી યોજનાઓનો અંગે ગ્રામજનોને માહિતગાર કરાયા હતા. વિધવા અને વૃધ્ધ સહાય યોજના,રસ્તા,વીજ પુરવઠો,પાણી પુરવઠાના પ્રશ્નો અંગે જિલ્લા કલેકટરશ્રીએ સબંધિત અધિકારીશ્રીઓને સત્વરે કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. શહેરા તાલુકાની મુલાકાત દરમ્યાન જિલ્લા કલેકટરશ્રીએ સરાડીયા ગામે તલાટી દફતરની સામાન્ય તપાસણી કરી નિભાવવાના રજીસ્ટર વગેરેની જાત ચકાસણી કરી સબંધિત તમામને જરૂરી સુચનાઓ આપી હતી.
રાત્રીસભાએ સરકાર અને વહીવટી તંત્ર વચ્ચે સેતુરૂપ ભૂમિકા ભજવે છે. લોકોના દ્વારે પ્રજાના પ્રશ્નો સાંભળવા અને મુશ્કેલીઓ દૂર કરવા રાત્રી અને દિવસીય ગ્રામસભાઓ યોજવામાં આવે છે. આ રાત્રીસભામાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી. કે. બારિયા,શહેરા પ્રાંત અધિકારીશ્રી,મામલતદારશ્રી સહિત સબંધીત જિલ્લાના અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ તથા ગામલોકો હાજર રહ્યા હતા.