છોટાઉદેપુર, સકીલ બલોચ :-
ભારતીય સ્વતંત્રતા ચળવળના અગ્રગણ્ય સેનાની અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલજીની જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2014થી સરદાર વલ્લભભાઈ પટેલજીના જન્મદિવસને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે તા.30 ઓક્ટોબરના રોજ રાજ્યની તમામ સરકારી કચેરીઓમાં રાષ્ટ્રીય એકતા શપથ દિવસ મનાવવામાં આવે છે. જેની સાથે સાથે છોટા ઉદેપુર જિલ્લાની જિલ્લા સેવા સદન, 6 તાલુકા કક્ષાની મામલતદાર કચેરીઓ, જિલ્લા આયોજન કચેરી, જિલ્લા સમાજ સુરક્ષા કચેરી જિલ્લા રજિસ્ટ્રાર કો.ઓ. સો. કચેરી જેવી તમામ કચેરીઓમાં રાષ્ટ્રીય એકતા દિન અંગે શપથ લેવામાં આવ્યા હતા. જેમાં કર્મયોગીઓ દ્વારા રાષ્ટ્રભાવના યથાવત રાખવાના શપથ ગ્રહણ કરવામાં આવે છે.
છોટાઉદેપુર કલેકટર કચેરીના તમામ કર્મયોગીઓએ એકતા શપથ ગ્રહણ કર્યા હતા. કાર્યક્રમ દરમિયાન, કલેકટર સ્તુતિ ચારણ, પ્રાયોજના અધિકારી સચિન કુમાર, અધિક નિવાસી કલેકટર કે. ડી ભગત, નાયબ ચૂંટણી અધિકારી ચૌધરી, પુરવઠા અધિકારી એ.આઇ. હળપતિ તેમજ કલેકટર કચેરીની તમામ શાખાના કર્મચારીગણ વિસી હોલમાં શપથ સમારંભમાં ઉપસ્થિત રહ્યા હતા.
સરદાર પટેલ વિરપુરૂષ, વિચાર પુરુષ અને લોખંડી પુરુષ તરીકે આપણને ભારતીયોને હંમેશા યાદ રહેશે, આ શપથમાં કહેવામાં આવ્યું છે કે દરેક ભારતીય દેશની એકતા અખંડિતતા, અને સુરક્ષાને ટકાવી રાખવામાં પ્રયત્ન કરશો અને એવો જ સંદેશો બીજા નાગરિકો સુધી પહોચાડશે, સરદાર વલ્લભભાઈ પટેલે આપણા દેશની એકતા ટકાવી રાખવા જે પ્રયત્નો કર્યા છે તે તેમના દૂરંદેશીપણાને આભારી છે. દેશના તમામ નાગરિકો એ દેશની આંતરિક સુરક્ષા માટે ચિંતા કરવી જોઈએ અને તેને સુનિશ્ચિત કરવી જોઈએ.