છોટાઉદેપુર જિલ્લાના શ્રમયોગીઓને મતદાન માટે સવેતન રજા આપવાની રહેશે

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

શ્રમયોગી/ કર્મચારીઓના પગારમાંથી કોઈ કપાત કરવાની રહેશે નહીં

શ્રમયોગીઓને મતદાનના દિવસે કોઈપણ ફરિયાદ હોય તો ૦૨૬૬૯-૨૩૨૫૩૩ ઉપર સંપર્ક કરી શકાશે

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત તા.૦૭/૦૫/૨૦૨૪ ને મંગળવારના રોજ મતદાન થનાર છે, જેને ધ્યાને લઇ છોટાઉદેપુર જિલ્લામાં ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટસ (રેગ્યુલેશન ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ કંડીશન્સ ઓફ સર્વિસ) એક્ટ – ૨૦૧૯, કારખાના અધિનિયમ-૧૯૪૮, બિલ્ડીંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્ક્સ એક્ટ-૧૯૯૬, કોન્ટ્રાક્ટ લેબર અધિનિયમ-૧૯૭૦ હેઠળ નોંધણી થયેલ સંસ્થામાં કામ કરતાં શ્રમયોગીઓ મતદાનના દિવસે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે સવેતન રજા આપવાની રહેશે.

આ જોગવાઈ અનુસાર સવેતન રજા જાહેર કરવાના કારણે સંબંધિત શ્રમયોગીઓ/કર્મચારીઓના પગારમાંથી કોઈ કપાત કરવાની રહેશે નહી.

જે શ્રમયોગીઓની ગેરહાજરીથી જોખમ ઉભુ થવાના સંજોગો / શક્યતા હોય અથવા જે વ્યવસાય અને રોજગાર સાથે સંકળાયેલ હોય તે રોજગારમાં મોટા પ્રમાણમાં નુકશાન થવા સંભવ હોય તેવા કિસ્સામાં અથવા સતત પ્રક્રિયાવાળા કારખાનામાં કામ કરતાં શ્રમયોગીઓ/કર્મચારીઓ તેમના મત આપવાનો અધિકાર ભોગવી શકે તે માટે તેમની ફરજના સમયમાંથી મતદાનના સમયગાળા દરમ્યાન ત્રણ થી ચાર કલાક વારા-ફરતી મતદાન માટે સવેતન રજા આપવાની રહેશે.

જો કોઈ કારખાનેદાર માલિક કે નોકરીદાતા ઉપરોક્ત જોગવાઈથી વિરૂધ્ધનું વર્તન કરશે, તો ઉપરોક્ત કાયદા હેઠળ શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

મતદાનના દિવસે કોઈ ફરિયાદ હોય તો મદદનીશ શ્રમ આયુક્ત, છોટાઉદેપુરના ફોન નંબર- ૦૨૬૬૯-૨૩૨૫૩૩ ઉપર અથવા મદદનીશ શ્રમ આયુક્તની કચેરી, એસ-૫, બીજો માળ, જીલ્લા સેવા સદન, છોટાઉદેપુરનો સંપર્ક કરવા મદદનીશ શ્રમ આયુક્તની યાદીમાં જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here