કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા
કાલોલ શહેરમાં કોરોનાની વણથંભી રફતારને પગલે શનિવારે ત્રણ અને રવિવારે બે શહેરીજનો સાથે વધુ પાંચ વ્યક્તિઓ કોરોના પ્રભાવિત બનતા શહેરમાં હડકંપ મચ્યો હતો. તંત્રની માહિતી મુજબ શનિવારે સાંજે શહેરના નવાપુરા વિસ્તારમાં રહેતા ગિરીશભાઈ ભાનુભાઈ પટેલ(ઉ.વ,૫૫) વૈભવલક્ષ્મી સોસાયટીના દશરથભાઈ ડાહ્યાભાઈ પરમાર(ઉ.વ,૨૬) અને રમીલાબેન રાજેશભાઇ ચૌહાણ(ઉ.વ, ૫૩)નો કોરોના રીપોર્ટ પોઝીટીવ ઉજાગર થયો હતો, જ્યારે રવિવારે સવારે હનુમાન ફળીયામાં રહેતા અને સ્થાનિક અર્બન સહકારી બેંકમાં સહાયકસેવક તરીકે ફરજ બજાવતા દક્ષાબેન મહેતા (ઉ.વ, ૫૦) લાલ દરવાજા વિસ્તારમાં રહેતા પ્રજેશ કિરીટભાઈ પટેલ(ઉ.વ,૩૬) સાથે શહેરમાં પાંચ વ્યક્તિઓ સ્થાનિક સંક્રમણને પગલે કોરોના પ્રભાવિત ઉજાગર થયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે પાંચ કેસો પૈકી કાલોલ શહેરના કાછીયાવાડના નાકે આવેલી પ્રસિદ્ધ રણછોડરાય રેસ્ટોરન્ટ ચલાવતા બે પિતરાઈ ભાઈઓ કોરોનામાં સપડાતા આગામી દિવસોમાં તહેવારોને અનુલક્ષીને ફરસાણ અને મિઠાઇના રસિકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. ઉપરોક્ત તમામ દર્દીઓને કોરોના સારવાર અર્થે તેમની અનુકૂળતાએ કોરોના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે બીજી તરફ શહેરમાં અગાઉ પોઝીટીવ બનેલા દર્દીઓ પૈકી ચાર જેટલા દર્દીઓ આરોગ્ય વિભાગની શરતોને આધીન હોમ આઇસોલેશન હેઠળ સ્વગૃહે સારવાર લઈ રહ્યા છે તેવી આરોગ્ય વિભાગે જાણકારી આપી હતી.
આમ કાલોલ તાલુકામાં કોરોના મહામારી સદી તરફ આગળ વધતા કુલ કેસો વધીને ૯૫ નોંધાયો હતા, જે પૈકી ૫ મોત, ૩૧ ડિસ્ચાર્જ, ૫૯ દર્દીઓ હાલમાં સારવાર હેઠળ, જ્યારે કાલોલ શહેરમાં કુલ ૬૪ કેસો પૈકી ૩ મોત,૨૦ ડિસ્ચાર્જ અને હાલમાં ૪૧ એક્ટીવ કેસો સારવાર હેઠળ હોવા અંગે તંત્રએ પુષ્ટિ કરી હતી.