વડોદરા ઝોનના ૨૬ નગરપાલિકા વિસ્તારોમાં પડેલા ૪૮૯૩ ખાડાઓને પેચવર્ક કરીને પૂરવામાં આવ્યા…

ગોધરા, (પંચમહાલ) ઈશહાક રાંટા :-

ગોધરામાં ૪૮૦, હાલોલમાં ૭૮૦, કાલોલમાં ૪૬, અને શહેરામાં ૪૮ ખાડાઓને પુરવામાં આવ્યા

આગામી નવરાત્રી પૂર્વે જરૂર લાગે તેવા તમામ માર્ગોને રિસરફેસ કરવામાં આવશેઃ રાજ્ય સરકાર દ્વારા ગ્રાંટ ફળવાઇ

વર્તમાન ચોમાસાની ઋતુ દરમિયાન પડેલા ભારે વરસાદમાં ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોને તત્કાલ રિપેર કરવા માટે રાજ્ય સરકાર દ્વારા ઉપાડવામાં આવેલા અભિયાન અંતર્ગત વડોદરા પ્રાદેશિક નગરપાલિકા કમિશનર તાબા હેઠળની ૨૬ નગરપાલિકાઓમાં યુદ્ધના ધોરણે ખાડાઓ પૂરવાની કામગીરી કરવામાં આવી છે. આ નગરપાલિકા વિસ્તારોમાં પડેલા નાનામોટા ૪૮૯૩ ખાડાઓને પેચવર્ક કરીને પૂરવામાં આવ્યા છે.

નગરપાલિકા કમિશનરની કચેરીના અધિક કલેક્ટર શ્રી ગોપાલ બામણિયાએ ઉક્ત બાબતની માહિતી આપતા જણાવ્યું હતું કે, વડોદરા જિલ્લાની ડભોઇ નગરપાલિકામાં ૧૫૦, પાદરામાં ૩૫, સાવલીમાં ૫૭ અને કરજણમાં ૬૦ સહિત છોટા ઉદેપુર નગરપાલિકામાં ૨૦, આણંદમાં ૯૯૬, ખંભાતમાં ૨૬, બોરસદમાં ૩૩, પેટલાદમાં ૫૬, ઉમરેઠમાં ૩૭, કરમસદમાં ૧૦૨, આંકલાવમાં ૧૫૬, ઓડમાં ૨૪૩, બોરયાવીમાં ૭૪૫, સોજીત્રામાં ૯૫, ગોધરામાં ૪૮૦, હાલોલમાં ૭૮૦, કાલોલમાં ૪૬, શહેરામાં ૪૮, લુણાવાડામાં ૨૮, સંતરામપુરમાં ૫૭, બાલાસીનોરમાં ૩૯, દાહોદમાં ૬૧૫, ઝાલોદમાં ૫૭, દેવગઢ બારિયામાં ૨૬ સહિત કુલ ૪૮૯૩ ખાડાઓ પૂરવામાં આવ્યા છે. રાહદારીઓને કોઇ તકલીફ ના પડે એ માટે રાજ્ય સરકાર દ્વારા ઉક્ત કામગીરીને અગ્રતા આપવામાં આવી રહી છે.

નગરપાલિકા કમિશનર સુશ્રી પ્રશસ્તિ પારીકે ઉક્ત તમામ નગરપાલિકાઓના મુખ્ય અધિકારીઓને સુચના આપી છે કે, રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી ગ્રાંટમાંથી જરૂર લાગે તેવા તમામ શહેરી માર્ગોને નવરાત્રી પૂર્વે રિસરફેસ કરી નાખવા. આ કામગીરી માટે નગરપાલિકાની કક્ષા અનુસાર રાજ્ય સરકાર દ્વારા વિશેષ અનુદાન ફાળવવામાં આવ્યું છે. તેમ શ્રી બામણિયાએ ઉમેર્યું હતું.

તાજેતરમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ચોમાસા દરમિયાન રાજ્યના શહેરી વિસ્તારોમાં ક્ષતિ પામેલા માર્ગોની સ્થિતિની ઉચ્ચસ્તરીય સમીક્ષા કરી સંબંધિત આરસીએમ કચેરીઓને ખાડાઓ પૂરવાની કામગીરી ઝડપથી કરવા માટે સૂચના આપી હતી. આ સમીક્ષા બેઠક દરમિયાન વડોદરા આરસીએમ કચેરી તાબા હેઠળની નગરપાલિકાઓ દ્વારા કરાયેલી કામગીરીની પ્રશંસા કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here