બોડેલી, (છોટાઉદેપુર) સકીલ બલોચ :-
તાજેતરમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનાં ચેરમેન તરીકે બાર કાઉન્સિલના મેમ્બર, બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ફાઇનાન્સ કમિટીના પૂર્વ ચેરમેન તરીકે યોગદાન આપનાર અને છેલ્લી ત્રણ ટર્મથી સતત વડોદરા બાર એસોસિયેશનના પ્રમુખ તરીકે ચૂંટાઈ આવતા એડવોકેટ નલીનભાઈ ડી પટેલની બિનહરીફ નિયુક્તિ કરવામાં આવી હોય છોટાઉદેપુર જિલ્લાનાં તમામ બાર એસોસિએશન માં ખુશી અને ગૌરવની લાગણી જોવા મળી હતી
સન્માન સમારોહ માં છોટાઉદેપુર જિલ્લાનાં બોડેલી, સંખેડા, પાવીજેતપુર, છોટાઉદેપુર, કવાંટ અને નસવાડી એમ છ એ છ તાલુકાના બાર એસોસિએશન નાં સંયુક્ત ઉપક્રમે બોડેલી સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિરના સત્સંગ હોલ ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો જેમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનાં મેમ્બર એડવોકેટ રણજીતસિંહ રાઠોડ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
દીપ પ્રાગટ્ય દ્વારા શરૂ થયેલ સન્માન સમારોહમાં સૌપ્રથમ છોટાઉદેપુર જિલ્લાના તમામ તાલુકાઓના બાર એસોસિએશનનાં પ્રમુખો દ્વારા નલીનભાઈ પટેલને અને રણજીતસિંહ રાઠોડને ફૂલહાર કરી સાલ ઓઢાડી માથા પર પાઘડી બાંધી છોટાઉદેપુર ની આગવી ઓળખ એવા તીર કામઠું અને પીઠોરા ચિત્ર ની સ્મૃતિ ભેટ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા
ઉપસ્થિત બાર એસોસિયેશનનાં હોદ્દેદારો તેમજ ઉપસ્થિત વકીલમિત્રોએ પણ પુષ્પગુચ્છ દ્વારા તેઓનું સન્માન કર્યું હતું.
આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનાં મેમ્બર એડવોકેટ રણજીતસિંહ રાઠોડ નું પણ તમામ તાલુકાના બાર એસોસિયેશનનાં ઉપપ્રમુખો દ્વારા ફૂલહાર કરી સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે આયોજકો દ્વારા જિલ્લાના કેટલાક સિનિયર વકીલ મિત્રોને પ્રમાણપત્ર સાથે સાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા.
સન્માન સમારોહ દરમિયાન શ્રી સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામીજીએ હાજરી આપી આશીર્વાદ આપી સન્માનિત કર્યા હતા.
સન્માન સમારોહ દરમિયાન જિલ્લાના એડવોકેટ મિત્રો દ્વારા જુનિયર વકીલ મિત્રોને ઉપયોગી થઈ પડે એવી લાઇબ્રેરી મળી રહે અને તેઓને પડતી મુશ્કેલીઓ ની રજૂઆત કરી નવનિયુક્ત બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનાં નવનિયુક્ત ચેરમેન નલીનભાઈ પટેલને લેખિત માં વિનંતી કરી હતી ત્યારે નલીનભાઈ પટેલે સન્માન નો પ્રત્યુતર આપતા સન્માન બદલ છોટાઉદેપુર જિલ્લાના તમામ વકીલ મંડળો ના હોદ્દેદારો તેમજ તમામ ઉપસ્થિત વકીલ મિત્રો નો આભાર વ્યક્ત કરી મળેલ રજૂઆતો નો વહેલી તકે યોગ્ય નિકાલ થાય તે માટેની ખાતરી આપી વકીલોના ઉત્થાન માટે ખાતરી આપી હતી.
આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનાં મેમ્બર એડવોકેટ રણજીતસિંહ રાઠોડે પણ છોટાઉદેપુર જિલ્લાના વકીલ મિત્રોનો આભાર વ્યક્ત કર્યો હતો.