ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-
પ્રધાનમંત્રી જન આરોગ્ય હેલ્થ આઇ-કાર્ડ, સગર્ભા ધાત્રી માતાઓની તપાસ સહિતની કામગીરી હાથ ધરાશે
જિલ્લાના સાતેય તાલુકાનાં સીએચસી પર બ્લોક હેલ્થ મેલાનું આયોજન કરાશે, સ્પેશિયલિસ્ટ ડોકટર્સની સુવિધા ઉપલબ્ધ કરાવાશે
પીએમજેએવાય કાર્ડનાં રિન્યુઅલ તેમજ નવા કાર્ડ કઢાવવાની કામગીરી અગ્રતાના ધોરણે હાથ ધરવા સૂચના
કમિશનરશ્રી આરોગ્ય તબીબી સેવાઓ ગાંધીનગર દ્વારા પ્રિન્સિપાલ સેક્રેટરી અને કમિશનર ઓફ હેલ્થના અધ્યક્ષસ્થાને બ્લોક હેલ્થ અને હેલ્થ વેલનેસ ડે અંગે વિડીયો કોન્ફરન્સ યોજાઈ હતી. આ વિડીયો કોન્ફરન્સમાં પંચમહાલ જીલ્લા કલેકટરશ્રી, જીલ્લા વિકાસ અધિકારીશ્રી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી કલેક્ટર કચેરી ખાતેથી જોડાયા હતા. કોન્ફરન્સ બાદ જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ આગામી સમયમાં યોજાનાર બ્લોક હેલ્થ મેળાના સુચારું આયોજન અંગે માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી. તેમણે આ મેળાઓનાં માધ્યમથી વધુ ને વધુ લોકો આયુષ્યમાન ભારત કાર્ડ કઢાવવા માટેની ઝુંબેશ હાથ ધરવા અંગે સુચના આપી હતી. તેમણે જેમનાં પીએમજેએવાય કાર્ડ રીન્યુ કરાવવાના બાકી હોય તેમના કાર્ડ રિન્યુલ અંગે આયોજન કરવા સૂચના આપ્યા હતા. જે અનુસાર તારીખ ૧૮ એપ્રિલથી ૨૬ એપ્રિલ ૨૦૨૨ સુધીમાં પંચમહાલ જિલ્લાનાં દરેક તાલુકાઓમાં આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડ, હેલ્થ કાર્ડ, કોવીડ રસીકરણ, એન.સી.ડી. સ્ક્રીનીંગ તેમજ તમામ રોગનાં નિષ્ણાત ડોક્ટરો દ્વારા દર્દીઓનાં આરોગ્યની તપાસણી કરવામાં કરવામાં આવશે. આ કાર્યક્રમ અંતર્ગત તારીખ ૧૮ એપ્રિલનાં રોજ શહેરા તાલુકામાં, તારીખ ૧૯ એપ્રિલનાં રોજ ઘોઘંબા તાલુકામાં, મોરવા હડફ તાલુકામાં તારીખ ૨૧ એપ્રિલે, કાલોલ તાલુકામાં 22 એપ્રિલનાં રોજ, જાંબુઘોડા તાલુકામાં તારીખ ૨૩ એપ્રિલે અને હાલોલ તાલુકામાં તારીખ ૨૫ એપ્રિલનાં રોજ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે તેમજ ગોધરા તાલુકામાં તારીખ ૨૬-૦૪-૨૦૨૨નાં રોજ સિવિલ હોસ્પિટલ ગોધરા ખાતે મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળાઓમાં સ્પેશિયાલિસ્ટની મદદથી દર્દીઓને સારવાર પૂરી પાડવાનું આયોજન હાથ ધરવામાં આવશે. તે ઉપરાંત icds વિભાગ દ્વારા હેલ્ધી ફૂડનું નિદર્શન યોજાશે.