બોડેલી,, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-
ઘડિયાળના કાંટા સાથે હરિફાઇ કરતી આ ભાગદોડભરી જીંદગીમાં આપણે સહુ જાણતા અજાણતા કયારે ડાયાબીટીસ, હાઇપરટેન્શન અને બી.પી જેવા રોગોનો ભોગ બની જઇએ છીએ એની ખબર જ પડતી નથી. જયારે ખબર પડે છે ત્યારે આજીવન દવા લેવા સિવાય કોઇ બીજો કોઇ વિકલ્પ રહેતો નથી. દવાઓના ખર્ચ પરવડ એમ ન હોય તો માણસ નાસીપાસ થઇ જતો હોય છે. મારે અહીં આપ સૌને પ્રધાનમંત્રી ભારતીય જન આરોગ્ય પરિયોજના અંગે વાત કરવી છે પણ પહેલા છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર ખાતે રહેતા અસમાબેનની વાત આપણે એમના જ મોઢે સાંભળીએ
અસમાબેન જન ઔષધિ કેન્દ્રમાં મળતી દવાઓ અંગે શું કહે છે એ જાણીએ હું મારા ફેમિલી મેમ્બરો માટે સામાન્ય મેડિકલ સ્ટોરમાંથી ડાયાબીટીસ અને બી.પીની દવા ખરીદતી હતી ત્યારે મહિનાના ચાર હજાર રૂપિયા આપવા પડતા હતા. પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રમાંથી એ જ દવા મહિને હજારથી બારસો રૂપિયામાં આવી જાય છે
વાત માત્ર અસમાબેન પુરતી સિમિત નથી દેશમાં કરોડો ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો છે જે અસમાબેનની જેમ જેનરિક દવાઓ પોષણક્ષમ ભાવે ખરીદી આઉટ ઓફ પોકેટ ખર્ચ ઘટાડી રહ્યા છે.