કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-
યોજના હેઠળ કાલોલ તાલુકાના ૮ હજાર લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ વિતરણ કરવાનો લક્ષ્યાંક
કાલોલમાં સોમવારે કાલોલ રેફરલ હોસ્પિટલ દ્વારા કોમ્યુનિટી હોલ ખાતે પ્રધાનમંત્રી જન આરોગ્ય આયુષ્યમાન ભારત યોજના હેઠળ આવરી લેવાયેલા લાભાર્થીઓને પ્રિન્ટેડ આયુષ્યમાન કાર્ડ વિતરણનો તાલુકા કક્ષાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલ સ્વરૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સીધા પ્રસારણ દ્વારા તાલુકામાં આયુષ્યમાન પોજના (PMAY) કાર્ડ અર્પણ કરવાનો સમારોહ યોજાયો હતો. કેન્દ્ર સરકારની આ યોજના હેઠળ આયુષ્યમાન કાર્ડ ધરાવતા લાભાર્થીઓને લિસ્ટેડ હોસ્પિટલો જોડીને કાર્ડ ધારક લાભાર્થીઓને વિનામુલ્યે સારવાર મળી રહે છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અમલમાં મુકવામાં આવી છે. આ યોજનાનો લાભ ગરીબી રેખા હેઠળ જીવતા કુંટુંબો, મધ્યમ વર્ગના પરિવાર (વાર્ષિક આવક રૂ. ૪ લાખ કે તે ઓછી આવક ધરાવતા), રૂ. ૬ લાખ કે તેથી ઓછી આવક ધરાવતા સિનિયર સિટીઝનો, સાધુસંતો, કર્મયોગી, આશાબહેનોને મળે છે. અત્રે ઉલ્લેખનીય છે કે કાલોલ તાલુકા વિસ્તારમાં ૮ હજાર લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ વિતરણ કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે જે આગામી પાંચ દિવસોમાં લાભાર્થીઓને સુધી પહોંચાડવાનો તાલુકા આરોગ્ય તંત્રએ લક્ષ્યાંક નક્કી કર્યો છે. રેફરલ હોસ્પિટલ દ્વારા આયોજીત આ કાર્યક્રમમાં કાલોલ મતવિસ્તારના ધારાસભ્ય સુમનબેન ચૌહાણ, કાલોલ તાલુકા પંચાયત પ્રમુખ જયદેવસિંહ ઠાકોર, કાલોલ પાલિકા પ્રમુખ શેફાલી ઉપાધ્યાય સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.