કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ખેડૂતોને પ્રાપ્ત થનારી સન્માન નિધિ અંગે માર્ગદર્શન આપ્યું
કાલોલ તાલુકાના વેજલપુર સ્થિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે સોમવારે પીએમ કિસાન સન્માન સંમેલન યોજાયું હતું,જેમાં કાલોલ, ઘોઘંબા તાલુકાના ખેડૂતો અને પશુપાલક મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા,આ કિસાન સંમેલનમાં ખેડૂતોના સહયોગ અર્થે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દરેક ખેડૂતોને સન્માન નિધિનો ૧૨મો હપ્તો ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવ્યો હોવાથી ખેડૂતોને મળતા સીધા નાણાકીય સહયોગ અંગે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ખેડૂતોને તેમની સન્માન નિધિની ઉપયોગીતા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કિસાન સન્માન સંમેલનમાં કાલોલ તાલુકા પંચાયત પ્રમુખ જયદેવસિંહ ઠાકોર, બાગાયત સંશોધન કેન્દ્રના હેડ ડો. એ.કે સિંઘ સહિત આમંત્રિત મહેમાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં ખેડૂતોએ, પશુપાલક મહિલાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સીધા ઓનલાઇન માધ્યમ દ્વારા જીવંત પ્રસારણ ટીવી પર જોઇને, સાંભળીને વડાપ્રધાનની ખેડૂતો અને ખેતી પદ્ધતિની વિવિધ યોજનાઓ, નિતીઓના લાભ સાથે ઉત્કર્ષ વિશે ભાષણ સાંભળ્યું હતું. આ કાર્યક્રમમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના હેડ ડો.કનકલતાએ કૃષિ સન્માન નિધિનો ઉપયોગ સામાજીક રિવાજોમાં ઉપયોગ કરવાને બદલે રવિપાકની સિઝનમાં ઉત્તમ પ્રકારના બિયારણ અને ખાતર પાણી અંગે ઉપયોગ કરવા માટે માર્ગદર્શન આપ્યું હતું. જ્યારે તાલુકા પંચાયત પ્રમુખ જયદેવસિંહ ઠાકોરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કૃષિ વિકાસ અને ખેડૂતોની આવક બમણી કરવાની વિવિધ યોજનાઓ અંગે માહિતી અને માર્ગદર્શન આપીને ખેડૂતોને ઉત્સાહિત કર્યા હતા.