ઘોઘંબાના ગજાપુરા(કાન) માં આમ આદમી પાર્ટીની જનસભા યોજાઇ… આખું ગામ પાર્ટીમાં જોડાયું

ઘોઘંબા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

હવે કર્મચારીઓ પણ કહે છે કે, You can do અમે પણ ગર્વ અને વિશ્વાસ થી કહીએ છીએ કે Yes Ofcourse, We can do: પ્રમુખ દિનેશ બારીઆ

ગુજરાત આમ આદમી પાર્ટી દ્વારા હાલ જન સંવેદના યાત્રા અને સદસ્યતા જોડો અભિયાન કાર્યક્રમો ગુજરાત ભરમાં થઈ રહ્યા છે. આ કાર્યક્રમમાં લોકોનો ભવ્ય આવકાર મળી રહ્યો છે. ‘જન સંવેદના યાત્રા’ માં હજારો લોકોની જનમેદની જોવા મળી રહી છે અને સદસ્યતા જોડો અભિયાન થી દૈનિક પાંચ હજાર લોકો આમ આદમી પાર્ટીમાં જોડાય રહ્યા છે.
ત્યારે પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા ઘોઘંબા તાલુકાના ગજાપુરા(કાન) ગામમાં સદસ્યતા જોડો અભિયાન અંતર્ગત જનસભા કરવામાં આવી.
જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆની અધ્યક્ષતામાં મળેલી આ જનસભામાં આજુબાજુ વિસ્તારના ગામોના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. અને ગજાપુરા ગામના લોકો જિલ્લા પ્રમુખના હસ્તે પાર્ટીની ટોપી અને ખેસ પહેરીને પાર્ટીમાં જોડાયા હતા.
આમ આદમી પાર્ટીમાં જોડાવા માટેનો ઉત્સાહ ગામ લોકોમાં જોવા મળ્યો. જિલ્લામાં થી આવેલ સૌ પદાધિકારીઓનું ફુલગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું.
ગામ લોકોને સંબોધતા જિલ્લા પ્રમુખે પોતાનું વૈચારિક વક્તવ્ય આપતાં જણાવ્યું કે, તમારા આરોગ્ય, શિક્ષણ, સુરક્ષા, સગવડ, સુવિધાની કામગીરી કરવા મત આપીને જનપ્રતિનિધિ તરીકે સરકારમાં બેસાડીએ છીએ. પણ આ લોકો સત્તા મળતાં સંતાઇ જાય છે અને સત્તા મળતા સંપત્તિ ભેગી કરવા લાગી જાય છે. સામૂહિક સુખાકારીના લાભોથી વંચિત લોકો રજુઆત કરે છે પણ સાંભળનાર કોઈ નથી તેનું કારણ સતત સત્તા ભોગવતી એક પાર્ટીની સરકાર છે. તેઓ પાર્ટીના કાર્યકરોને પૈસા બનાવવા વ્યવસ્થા કરે છે અને પ્રજાને પાયમાલ કરે છે. સામાન્ય જનતાનો અવાજ આજે દબાઇ ગયો છે ત્યારે હવે સત્તા પરિવર્તન એ એક માત્ર ઉપાય છે એવું જણાવતા વધું કહ્યું હતું કે આજે દેશના પાટનગર દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર છે આ સરકારની કામગીરી દેશ અને દુનિયામાં વખાણાય છે. દિલ્હી સરકાર નામ સાથે શિક્ષણ અને આરોગ્યની સેવા યાદ અપાવે છે. સમગ્ર દેશમાં ટુંકા સમયમાં શિક્ષણ અને આરોગ્યની સેવા દેશમાં શ્રેષ્ઠ બનાવી છે. એમ કહી સરકારની ઘણી કામગીરીઓ વિશે જણાવ્યું હતું.
પાર્ટીમાં જોડાયેલા સૌને અભિનંદન આપતા જણાવ્યું કે, ઇમાનદાર લોકો જ આ ઇમાનદારી ની ટોપી પહેરી શકે છે એટલે ગૌરવ અનુભવો અને સૌને જણાવો કે આમ આદમી પાર્ટીમાં જોડાયો છું અને તમે પણ જોડાવો. એમ ઘેર ઘેર સંદેશો પહોંચાડો. લોકોને આપના માર્ગદર્શનની અને નેતૃત્વની જરૂર છે. આજે શિક્ષિત, સમજદાર અને સેવા ભાવના વાળા યુવાનો પાર્ટીમાં જોડાય રહ્યા છે તે સત્તા પરિવર્તન માટેનું કારણ બનશે. આપના વિચારો વિસ્તારના જન જન સુધી પહોંચાડો એવું આહ્વાન કર્યું હતું.
ગામના રાજકીય યુવા અગ્રણી મહેન્દ્રસિંહ સોલંકીની જિલ્લા સહમંત્રી તરીકે અને શૈલેષ સોલંકીને તાલુકા કિસાન સમિતિના ઉપ પ્રમુખ તરીકે તથા માજી સરપંચ પ્રતાપભાઈ રાઠવાને તાલુકા મહામંત્રી તરીકે નિમણૂંક જાહેર કરવામાં આવી.
જિલ્લા ઉપ પ્રમુખ હિંમતસિંહ પરમાર, સંગઠન મંત્રી દર્શન વ્યાસ, સહ સંગઠન મંત્રી કૃણાલ ચૌહાણ, જિલ્લા યુવા પ્રમુખ વિનેશ પટેલીયા, જિલ્લા બક્ષીપંચ સમિતિ પ્રમુખ સંજયભાઈ પટેલ, ઉપ પ્રમુખ પીપી બારીઆ, મધ્ય ઉત્તર ઝોનના કિસાન પ્રમુખ અરવિંદભાઈ માછી, મધ્ય ઉત્તર ઝોનના યુવા પ્રમુખ ભરતભાઇ રાઠવા, ઘોઘંબા તાલુકા પ્રમુખ અર્જુનસિંહ બારીઆ, કાલોલ તાલુકા પ્રમુખ અજયસિંહ ચૌહાણ, ઉપ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાઠોડ, હાલોલ પર્યાવરણ મંત્રી દિનેશ યાદવ સહિતના તાલુકા જિલ્લાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here