શહેરા તાલુકાના નાંદરવા, ગોધરા નગરપાલિકાના સિગ્નલ ફળિયા
અને કાલોલ તાલુકાના નવાપુરાના કન્ટેઈન્મેન્ટ ઝોન મુક્ત કરાયા
ગોધરા(પંચમહાલ)
પંચમહાલ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એલ.બી બાંભણિયા (જી.એ.એસ.) દ્વારા ધ ગુજરાત એપિડેમિક ડિસીઝ કોવિડ-૧૯ રેગ્યુલેશન્સ, ૨૦૨૦ની કલમ-૧૧ તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, ૨૦૦૫ની કલમ-૩૦ અને ૩૪ હેઠળ મળેલા અધિકારની રૂએ જિલ્લાના ક્લસ્ટર કન્ટેઈન્મેન્ટ એરિયા તરીકે જાહેર કરેલ વિસ્તારો પૈકી વધુ કેટલાક વિસ્તારોને ક્લસ્ટરમુક્ત જાહેર કરતો હુકમ કરવામાં આવ્યો છે. મુક્ત કરાયેલ વિસ્તારોમાં ગોધરા નગરપાલિકાના સિગ્નલ ફળિયા, કાલોલ તાલુકાના નવાપુરા તેમજ શહેરા તાલુકાના નાંદરવા ગામના કન્ટેઈન્મેન્ટ વિસ્તારોનો સમાવેશ થાય છે. નાંદરવાના ઝોનમાં ૦૪/૦૭/૨૦ના રોજ તેમજ સિગ્નલ ફળિયા અને નવાપુરા કન્ટેઈન્મેન્ટ વિસ્તારોમાં ૦૩/૦૭/૨૦ના રોજ છેલ્લો કોરોના પોઝિટીવ કેસ મળી આવ્યો હતો. આ સાથે જ આ વિસ્તારોના ૩૮ ઘરોના ૮૩ વ્યક્તિઓ ક્લસ્ટર ક્વોરેન્ટાઈનના નિયંત્રણોથી મુક્ત થયા છે. જિલ્લામાં હાલની સ્થિતિએ કુલ ૩૧૪ વિસ્તારો સંક્રમણના કેસો મળવાના પગલે કોરોના પ્રભાવિત વિસ્તારો તરીકે નિયંત્રણ હેઠળ મૂકવામાં આવ્યા છે, જે પૈકી કુલ ૧૦૭ વિસ્તારોને છેલ્લા ૨૮ દિવસમાં સંક્રમણનો કોઈ કેસ ન મળવાના પરિણામે ક્લસ્ટરમુકત જાહેર કરી દેવાયા છે.