ગોધરા, (પંચમહાલ) ઈશહાક રાંટા :-
પંચમહાલ જિલ્લામાં કુલ રૂ.૧૧૬૭.૯૯ લાખના ૮૯૯ કામોનું આયોજન જિલ્લા આદિજાતિ વિકાસ મંડળ દ્વારા મંજૂર કરવામાં આવ્યું
ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ, પ્રભારીમંત્રીશ્રી અર્જુનસિંહ ચૌહાણના અઘ્યક્ષપદે જિલ્લા સેવાસદન ગોધરા કલેકટર કચેરી સભાખંડ ખાતે જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક મંડળના સભ્યો અને અમલીકરણ અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં યોજાઈ.
સદર બેઠકમાં સભ્યસચિવ અને પ્રાયોજના વહીવટદારશ્રી ડી.આર.પટેલ દ્વારા ન્યુ ગુજરાત પેટર્ન યોજના તથા જિલ્લાની આદિજાતિ વસ્તી અને તેના આધારે થતી જોગવાઈ અંગે તેમજ ૧૦ મુદ્દા કાર્યક્રમ વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી. વર્ષ ૨૦૨૧-૨૨ માં તા.૧૬/૦૭/૨૦૨૧ ના રોજ યોજાયેલ જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠકની કાર્યવાહી નોંધને બહાલી આપવામાં આવી ત્યારબાદ ન્યુ ગુજરાત પેટર્ન યોજના વર્ષ ૨૦૨૨-૨૩ ની આદિજાતિ વિસ્તારની સંભવિત જોગવાઈ રૂ.૯૯૨.૪૨ લાખ અને છૂટાછવાયા આદિજાતિ વિસ્તારની સંભવિત જોગવાઈ રૂ.૧૨૬.૭૪ લાખ મળી કુલ રૂ૧૧૧૯.૧૬ લાખની સંભવિત જોગવાઈ સામે ૭ તાલુકાની તાલુકાવાર વસ્તી આધારિત જોગવાઈ મુજબ તાલુકા આદિજાતિ વિકાસ સમિતિ દ્વારા મંજૂર કરી મોકલેલ ૭ તાલુકાના આદિજાતિ વિસ્તારના રૂ.૧૦૩૦.૧૯ લાખના ૭૭૬ અને છૂટાછવાયા આદિજાતિ વિસ્તારના રૂ.૧૩૭.૮૦ લાખના ૧૨૩ કામો મળી કુલ રૂ.૧૧૬૭.૯૯ લાખના ૮૯૯ કામોનું આયોજન જિલ્લા આદિજાતિ વિકાસ મંડળ દ્વારા મંજૂર કરવામાં આવ્યું.
છેલ્લા ૨ વર્ષના ૬ કામોમાં કરવામાં આવેલ ફેરફારની મંજૂરીને બહાલી આપવામાં આવી તથા છેલ્લા ૨ વર્ષના બાકી કામોની કામવાર પ્રગતિની સમીક્ષા કરવામાં આવી.
આ બેઠકમાં ધારાસભ્યશ્રી સુમનબેન ચૌહાણ, જિલ્લા કલેકટરશ્રી સુજલ મયાત્રા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અર્જુનસિંહ રાઠોડ સહિત જિલ્લાના સબંધીત અધિકારીગણ ઉપસ્થિત રહ્યા હતા.