સિદ્ધપુર,(પાટણ) આશિષ કુમાર પાધ્યા :-
ઐતિહાસિક અને ધાર્મિક નગરી સિદ્ધપુર ખાતે અતિ પ્રાચીન પવિત્ર બિંદુ સરોવર,શ્રીવટેશ્વર મહાદેવ તેમજ શ્રીબાવાજીની વાડીમાં આવેલા શ્રીસિદ્ધેશ્વર મહાદેવ મંદિર પરિસર જેનો વહીવટ ગુજરાત રાજ્ય યાત્રાધામ વિકાસ બોર્ડ ગાંધીનગર દ્વારા તેમજ સિદ્ધપુરના પ્રાંત અધિકારીની આગેવાનીમાં મામલતદાર વહીવટની ધુરા સંભાળતા હોય છે.જેના રખરખાવ માટે તેમજ સાફ-સફાઈ અને જાળવણી માટે રાજ્ય સરકાર દ્વારા એક કરોડ જેટલી માતબર રકમની એફડી કરાયેલી હોવા છતાં પ્રાંત કચેરી અને મામલતદાર કચેરીના અણધડ વહીવટના કારણે આજે પવિત્ર બિંદુ સરોવરના પ્રાંગણમાં કરોડો રૂપિયા નવિનીકરણના નામે ખર્ચવામાં આવ્યા હતા.પરંતુ પ્રાંત કચેરીની દેખરેખ હેઠળ તેની જાળવણીના અભાવના કારણે આજે પવિત્ર બિંદુ સરોવરના પ્રાંગણમાં ઠેર ઠેર ટાઇલ્સઓ તેમજ ભોંય તળિયા અને દીવાલોમાં લગાવાએલ કિંમતી પથ્થરો તૂટી જવાથી યાત્રાળુઓ તેમજ શ્રાદ્ધ વિધિ કરાવતા બ્રાહ્મણોને ખૂબ જ હાડમારીનો સામનો કરવાનો વારો આવ્યો છે. બિંદુ સરોવરના પ્રાંગણમાં શ્રી પરશુરામ ભગવાનના મંદિર પાસે આવેલ અતિપ્રાચીન મોક્ષ પીપળા પાસે દરેક યાત્રાળુઓ માતૃતર્પણ વિધિ કરાવ્યા પછી પિતૃઓને મોક્ષ પ્રાપ્તિ અર્થે અહીં પિંડદાન કરી પ્રદક્ષિણા તેમજ જળ ચઢાવવા યાત્રાળુ લોકો આવતા હોય છે પરંતુ અહીંયાજ તંત્રની ઉદાસીનતાના કારણે તેમજ વહીવટી તંત્રના દેખરેખ અને જાળવણી અભાવના કારણે મસમોટા ખાડા પડી ગયા છે તેમજ અલ્પા સરોવર અને બિંદુસરોવર માં ભરાયેલ પાણીની સાફ સફાઈ ની રાડો પણ ઉઠવા પામી છે તેમજ મહિલાઓને નાહવા માટે બનાવેલા બાથરૂમના દરવાજા પણ તૂટી ગયા છે તેની સાથે બિન્દુસરોવરના પ્રાંગણ તેમજ આજુબાજુના અતિ પૌરાણિક દેવ મંદીરો પાસે સાફ સફાઈ પણ નિયમિત કરાતી ના હોવાની હૈયા વરાળ કાઢતા લોકોપણ નજરે ચડી રહ્યાં છે. પરંતુ તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની જાળવણી કે રીપેરીંગ કરવામાં આવતું ન હોવાથી નગરજનો સહિત અહીંના ગોર મંડળના સભ્યો તેમજ પવિત્ર બિંદુ સરોવરમાં દૂર દૂરથી આવતા શ્રધ્ધાળુઓમાં રોષની લાગણી ફેલાઇ રહી છે.