ગોધરા, (પંચમહાલ) નવાઝ શેખ :-
૮૦ પરીક્ષા કેન્દ્રો પર સવાર અને બપોર એમ બે સેશનમાં આયોજિત પરીક્ષામાં કુલ ૨૯,૧૨૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી,ગોધરાના કુલસચિવશ્રી,ડૉ. અનીલ સોલંકી જણાવે છે કે,કુલપતિશ્રી પ્રો.પ્રતાપસિંહ ચૌહાણના માર્ગદર્શન હેઠળ તા.૦૮/૦૪/૨૦૨૪થી શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીની વિજ્ઞાન, વિનયન, વાણિજ્ય, શિક્ષણ અને કાયદા વિદ્યાશાખાની સ્નાતક તથા અનુ-સ્નાતક કક્ષાના અભ્યાસક્રમોની સેમેસ્ટર-૪ની પરીક્ષાઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં પ્રારંભ થઇ છે.
આ પરીક્ષાઓમાં વિજ્ઞાન, વાણિજ્ય, વિનયન, શિક્ષણ અને કાયદા વિદ્યાશાખાના સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના કુલ ૯ અભ્યાસક્રમોની પરીક્ષાઓ કુલ ૮૦ પરીક્ષા કેન્દ્રો પર સવાર અને બપોર એમ બે સેશનમાં આયોજિત કરવામાં આવેલ છે. જેમાં કુલ ૨૯,૧૨૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
આ પરીક્ષાઓ દરમિયાન કુલપતિશ્રી દ્વારા સવિશેષ તકેદારીના ભાગરૂપે પરીક્ષા કેન્દ્રો પર યુનિવર્સિટી ઓબ્ઝર્વર નીમવામાં આવેલ હતા.જેઓએ સીધાજ યુનિવર્સિટી સાથે સંપર્કમાં રહી પરીક્ષા કેન્દ્ર ખાતેની પરિસ્થિતિનું મોનીટરીંગ તેમજ રીપોર્ટીંગ કર્યું હતું.
શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સીટીની પરીક્ષાઓ સમય મર્યાદાઓમાં અને વિધાર્થીઓના હિતમાં સંપૂર્ણપણે પારદર્શક, સુરક્ષિત તેમજ સચોટ રીતે લઈ શકાય તે માટે માન. કુલપતિશ્રીના સીધા માર્ગદર્શન હેઠળ તમામ પરીક્ષા કેન્દ્રો અને યુનિવર્સિટીની ટીમ શિસ્તબધ્ધ રીતે અને સમયાધીન રાત-દિવસ કાર્યરત છે.
કુલપતિશ્રી, કુલસચિવશ્રી, યુનિવર્સિટીના બોર્ડ ઓફ મેનેજમેન્ટ, એક્ઝીક્યુટીવ કાઉન્સિલ, એકેડેમિક કાઉન્સિલના તમામ સભ્યશ્રીઓએ તમામ પરીક્ષાર્થીઓને પરીક્ષાની ગરિમા જળવાય તે પ્રકારે વર્તણુક કરવા વિનંતી કરેલ છે સાથે-સાથે ઉત્તમ પરિણામ પ્રાપ્ત થાય એ માટે શુભેચ્છાઓ પાઠવી છે તેમ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલ સચિવશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.