નર્મદા ડીસ્ટ્રીકટ બાર એસોસીએશન દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું

રાજપીપળા,(નર્મદા)
આશિક પઠાણ

સોગંદનામા કરવાની સત્તા તલાટીઓને સરકાર દ્વારા અપાતા વકીલ મંડળનો સખ્ત વિરોધ

રાજ્ય સરકારે પ્રજાજનોની સુખાકારી સગવડ ખાતર ડિજિટલ સેવા સેતુ માધ્યમ થકી સોગંદનામા કરવાની સત્તા તલાટીઓને આપતા વકીલાતનો વ્યવસાય કરતા અદાલતોના વકીલોમા ભારે નારાજગી જોવા મળી રહી છે. નર્મદા જિલ્લામા દેડિયાપાડા ખાતે વકીલોએ વિરોધ દરશાવવા આવેદનપત્ર આપ્યા બાદ આજરોજ રાજપીપળા ખાતે નર્મદા કલેક્ટરને નર્મદા જીલ્લા બાર એસોસિએશન દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ.

આવેદનપત્રમા જણાવ્યાનુસાર તા.૦૬/૧૦/ ૨૦૨૦ ના રોજ ગુજરાત સરકારએ વિવિધ સેવાઓ માટે ડીજીટલ સેવા સેતુ માધ્યમથી માત્ર ૨૦ રૂપીયાની ફી થી ૨૨ જેટલી સેવાઓ ૮ ઓકટોબરથી ઓનલાઇન શરૂ કરવાનો નિર્ણય કર્યો છે જેના કારણે રેશનકાર્ડ,આવકનો દાખલો, વિધવા દાખલો વગેરે ગામ કક્ષાએ થશે અને સરકાર આ સેવાઓ માટે ગ્રામ કક્ષાએ એફીડેવીટ ( સોંગદનામા ) કરવાની સત્તા જે તે ગ્રામ પંચાયતના તલાટીકમ મંત્રીઓને આપી છે.

ગુજરાત સરકાર દ્વારા લેવાયેલ આ નિર્ણયનો નર્મદા ડીસ્ટ્રીકટ બાર એસોસીએશન દ્વારા ઉગ્ર વિરોધ કરી જણાવ્યું છે કે હાલમાં લોક ડાઉનને કારણે છેલ્લા ૬ મહિનાથી કોર્ટનું કામકાજ સંપૂર્ણપણે ઠપ થયેલ છે તેવા સંજોગોમાં વકીલોની એકમાત્ર આજીવીકા નોટરીના વ્યવસાય ઉપર આધારીત હોઇ અને કોર્ટ બંધ હોવાને કારણે વકીલોની આર્થિક સ્થિતી ઉપર ખુબ જ માઠી અસર પડેલ હોઇ તેની જાણ ગુજરાત સરકારને હોવા છતા વકીલોના હિતને ધ્યાનમાં રાખ્યા વગર વકીલોને પડયા ઉપર પાટુ મારવાની જે નીતી અપનાવી છે તે નીતીનો નર્મદા જિલ્લા બાર એસોસિએશને આવેદનપત્ર આપી સખત શબ્દો માં વિરોધ કરી તલાટીઓને સોંગદનામાની સત્તા આપી છે તે મોકુફ રાખવા ની માંગ કરી છે અને આ બાબતે નર્મદા કલેક્ટર ને આવેદનપત્ર આપ્યુ હતુ.

નર્મદા બાર એસોસિએશનના પ્રમુખ કુ.વંદનાબેન ભટ્ટની આગેવાનીમા નર્મદા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર અપાયુ હતું જે સમયે તેઓ સાથે રાજપીપળા ના વકીલો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here