રાજપીપલા,
પ્રતિનિધિ :- આશિક પઠાણ
સતત એક મહિના સુધી કોવિડ-૧૯ આયુર્વેદિક હોસ્પીટલમાં રહી નર્મદા જીલ્લાના ૧૨ પોઝિટીવ દર્દીઓની રાત-દિવસ સેવા કરી
એક મહિના બાદ પોતાના નિવાસ સ્થાને પોહંચ્યા,પરિવારજનોથી દુર રહી માનવ સેવાયજ્ઞમાં જોડાયા
સમગ્ર વિશ્વને આજે કોરોનાના માનવભક્ષી કહેરે પોતાના ભરડામાં લીધું છે, ત્યારે સમસ્ત ભારતભરમાં પણ દિનપ્રતિદિન કોરોના સંક્રમીતોની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે. અને હાલ ગુજરાત રાજ્યમાં પણ કોરોનાનો પ્રકોપ એટલી હદે વધી રહ્યો છે કે ગુજરાત કોરોના પોઝિટીવ દર્દીઓની શ્રેણીમા બીજા ક્રમે પહોંચી ગયું છે. એક બીજાના સંપર્કમાં આવવાથી થતી આ મહામારીમાં માનવ જીવન માટે જો કોઈ પણ સહારો હોય તો એ માત્ર આરોગ્યકર્મીઓનો જ છે. નાત-જાત, ઊંચ-નીચ અને કોમવાદના ભેદભાવથી ઉપર ઉઠી આજના આ કપરા સમયમાં આરોગ્યકર્મીઓ રાત-દિવસ કોરોનાથી સંક્રમિત થયેલા અને પલકના ઝબકારા પર જીવ ચોંટી ગયું હોય એ રીતે ઘભરાઈ ગયેલા દર્દીઓને હિંમત અને હુંફ આપી સારા કરવામાં પોતાની પવિત્ર ફરજ નિભાવી રહ્યા છે.તેઓની આ નિષ્ઠાપૂર્વકની સેવા દરમ્યાન દેશમાં અનેક આરોગ્યકર્મીઓને કોરોનાએ પોતાના ભરડામાં લીધા છે. તેમછતાં દેશનાં આ યોદ્ધાઓ દેશહિત ખાતર કોરોના પીડિતોનાં સેવાકાર્યમાં અડીખમ ઉભા છે.
રાજપીપલાના સિવિલ હોસ્પિટલમાં ફીજીસિયન તરીકેની સેવા બજાવતા ડો. મેણાતને પોતાના પરિચયની કોઈ જ જરૂર નથી અને જો તેઓની સેવાકીય ઓળખ લખવાનો એક મક્કમ પ્રયન્ત કરાય તો પણ કદાચ શબ્દનો ભંડોળ પૂરો થઇ જાય પરંતુ તેઓના સેવાકીય કાર્યોની ગાથા પૂરી નહી થાય…!! તેમછતાં હાલ જે ઈતિહાસ લેખાય રહ્યો છે માટે અહી લખવું ખુબજ જરૂરી છે, સેવાભાવી એવા ડો.મેણાત સાહેબે છેલ્લા એક મહિનાથી રાજપીપળા કોવિડ-૧૯ નાં માનવભક્ષી હવામાનમાં રાત-દિવસ પોતાની સેવા બજાવી છે.
નર્મદા જીલ્લામાં કુલ ૧૨ કોરોના પોઝિટીવ કેસ સામે આવ્યા હતા, એ તમામને રાજપીપળાનાં આયુર્વેદિક હોસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જેમાંથી એક દર્દી અંકલેશ્વર ખાતે સારવાર કરાવવા માટે ગયા હતા. અને બીજા રાજપીપળાનાં આયુર્વેદિક હોસ્પિટલમાં ડો.મેણાતની દેખરેખ હેઠળ સારવાર લઇ રહ્યા હતા. તે સમયે રાજપીપળા આયુર્વેદિક હોસ્પિટલમાં સેવા આપી રહેલ ડો.મેણાત અને કોવિડ-૧૯ ની આરોગ્ય ટીમની મહેનત અને નિદાનનાં કારણે ૧૨ કોરોના પોઝિટીવ દર્દીઓમાંથી ૯ દર્દીઓને તા-૨૯ મી નાં રોજ કોરોના મુક્ત કરી રજા અપાઈ હતી, ત્યારે જ કોરોનાના ખરા યોધ્ધા ડો.મેણાતે રાહતનો શ્વાસ લીધો હતો. જ્યાં સુધી દર્દીઓ દવાખાનામાં દાખલ હતા ત્યાં સુધી ડો.મેણાત પોતાનાં ઘરે ગયા નહાતા, આ તેઓની પોતાના ફરજ પ્રત્યેની એક સાચી નિષ્ઠા દર્શાવે છે.
હોસ્પીટલમાં રહી કોરોના પીડિતો માટે લગભગ એક મહિના સુધી સેવા આપ્યા બાદ ગતરોજ શાંજે ડો.મેણાત રાજપીપળામાં આવેલ પોતાના દોલતબજાર ખાતેના નિવાસ સ્થાને પહોંચ્યા ત્યારે નગરજનોએ તેઓના માર્ગમાં પુષ્પો વધાવી તેમજ તેમનાં પર પુષ્પવર્ષા કરી ભવ્ય સ્વાગત કર્યું હતું. તે સમયે માનવ જીવનનાં રક્ષક એવા યોધ્ધા ડો.મેણાત પોતે પણ ભાવવિભોર થઇ ગયા હતા.