ગોધરા,(પંચમહાલ)
ઈશ્હાક રાંટા
માનવતા પ્રેમી મજલીસે ઈત્તેહાદુલ મુસ્લીમીનના ગુજરાત ખાતે પધારેલ મહેમાન જનાબ ઈમ્તિયાઝ ભાઈ જલીલ સાહેબ તેમજ જનાબ વારીસખાન પઠાણ સાહેબ સાથે ગોધરાના સામાજિક કાર્યકર્તા એવા નવ યુવાનોએ મુલાકાત કરી ટુંક સમયમાં ગોધરા ખાતે AIMIM પાર્ટીનું આગમન થવાની શક્યતાઓ વ્યક્ત કરી હતી, તેમજ મજલીસનો પૈગામ લઇને આવેલ એમ.પી ઇમ્તિયાજ જલીલ સાહેબ અને માજી ધારાસભ્ય વારીસ પઠાણનાં નિખાલસ વ્યક્તિત્વની મનભરીને પ્રશંસા કરી હતી.
આવનાર ફેબ્રુઆરી મહિનામાં ગુજરાત રાજ્યની અનેક મહાનગર પાલિકા તેમજ નગર પાલિકા સહીત ગ્રામ પંચાયતોની ચુંટણીઓ યોજાય તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે જ્યારે આ બાબતને ધ્યાને લઇ ગોધરા નગરના યુવા નેતાઓ AIMIM પાર્ટીના પ્રચાર પડઘમની તૈયારીઓ શરુ કરી રહ્યા હોવાનો માહોલ પ્રસરાઇ ગયો છે તેમજ અચનાક મજલીસના નેતાઓ સાથે ગોધરાના યુવાનોની મીટીંગની વાતો વહેતી થતા સમગ્ર પંથકમાં ચર્ચાઓના વાવાઝોડા ફૂંકાઈ રહ્યા છે અને મજલીસના હોહાપાનો માહોલ જોઈ છેલ્લા કેટલાય દાયકાઓથી લઘુમતી સમાજનો માત્ર વોટ પુરતો ઉપયોગ કરનારી અન્ય રાજકીય પાર્ટીઓના પેટમાં તેલ રેડાઈ ગયો હોવાનો આભાસ થઇ રહ્યો છે.
AIMIM દ્વારા આમંત્રિત કરેલ ગોધરા નગરના નિ:સ્વાર્થ અને સેવાભાવી કાર્ય કરનારા સમાજ સેવક એવા ભાઈ શ્રી હાજી હનીફ કલંદર ભાણા, ભાઈ શ્રી તોફીકભાઈ મલેક, ભાઈ શ્રી આદિલભાઈ વ્હોરા, ભાઈ શ્રી ઈન્તેખાબ સૈયદ, ભાઈ શ્રી સોહેલ મુન્શી (સુજલ), ભાઈ શ્રી શોએબ મલેક (તીજોરીવાળા) અને ભાઈ શ્રી સાજીદ શેખ (પત્રકાર) સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે મજલીસની કામગીરીની વાતો અને માનવતા પ્રત્યે છેલ્લી હદ સુધી લડી લેનારા મજલીસના નેતાઓની વાતો સોશિયલ મીડિયામાં જેટલી વખાણાય છે એનાથી પણ વધીને તેઓની સાચા અર્થે ઉમદા કામગીરી છે. જેનો અનુભવ તેઓની જુજ સમય પુરતી મુલાકાતથી જોવા મળ્યો છે, આજના રાજકીય માહોલમા અમૂક સાંસદોની મુલાકાત લેવી હોય તો તેઓના અનેક ચમચા અને દલાલોના દેખાવ પૂરતા ઘેરાઓને પારકર્યા પછી અધકચરી મુલાકાત મળતી હોય છે જ્યારે મહેમાન બની આવેલા મજલીસના નેતાઓ એક સામાન્ય માણસની જેમ મિત્રતા ભર્યા સ્વભાવ સાથે અને દરેક પ્રશ્નોના સચોટ ઉત્તર સાથે સૌ કોઈને મુલાકાત આપી રહ્યા હતા, જેથી એક વાત કહી શકાય કે આવનાર સમયમાં ગુજરાત સહીત પંચમહાલ જીલ્લામાં AIMIM મજબુત રીતે યુવાઓના દિલની ધડકન બની રહેશે તેમજ સભ્ય સમાજ માટે વિકલ્પ સાબિત થઇ મજબુરી બનેલા રાજકીય પક્ષને જાકારો મળશે એમાં કોઈ બે મત નથી.