રાજપીપળાના માલીવાડમાંથી એકજ પરિવારના 4 પોઝિટિવ કેસો મળી આવ્યા

નર્મદા જિલ્લામાં આજે નોંધાયેલ વધુ ૬ પોઝિટીવ કેસ સહિત આજ દિન સુધી પોઝિટીવ કેસના દરદીઓની કુલ સંખ્યા-૧૩૦ થઇ

આજની સ્થિતિએ સુરતમાં ૧ અને વડોદરામાં રિફરમાં રહેલાં ૩ દરદીને બાદ કરાતાં રાજપીપળા કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ હવે કુલ ૨૬ દર્દીઓ સારવાર હેઠળ

ગઈકાલે ચકાસણી માટે મોકલાયેલ સેમ્પલ પૈકી આજે ૩૦ સેમ્પલના રિપોર્ટ નેગેટીવ અને ૬ સેમ્પલના રિપોર્ટ પોઝિટીવ આવ્યા છે જ્યારે ૧૬ સેમ્પલના રિપોર્ટ પેન્ડીંગ : આજે ચકાસણી માટે કુલ ૭૨ સેમ્પલ મોકલાયા

જિલ્લામાં આરોગ્ય ટૂકડીઓ દ્વારા આજે ૫૧,૪૩૦ વ્યક્તિઓનું કરાયેલું ડોર-ટુ-ડોર
સર્વેક્ષણ : ૧૩૮ જેટલા જરૂરીયાતવાળા દર્દીઓને અપાયેલી સારવાર

રાજપીપળા(નર્મદા)
આશિક પઠાણ

નર્મદા જિલ્લામાં કોરોના પોઝિટિવના દર્દીઑની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે.આજે રાજપીપળાના માલીવાડમાંથી એકજ પરિવારમાં 4 કોરોના પોઝિટિવ કેસો નોધાયા હતા. જયારે દેડિયાપાડાના કેવડી અને સામરપાડા ખાતેના આદિવાસી વિસ્તારોમાંથી પણ એક-એક કોરોના પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા છે.

COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસરશ્રી ડૉ. આર.એસ.કશ્યપ તરફથી તા.૧૮ મી જુલાઇ, ૨૦૨૦ ના રોજ સાંજે ૫:૩૦ કલાકે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ નર્મદા જિલ્લામાં કોરોના વાયરસના વધુ ૬ પોઝિટિવ કેસો નોંધાતા આજની સ્થિતિએ નર્મદા જિલ્લામાં કોરોના પોઝિટીવ દર્દીઓની કુલ સંખ્યા-૧૩૦ થઇ છે. આમ જિલ્લામાં આજદિન સુધી કોરોના વાયરસના સાજા થયેલા કુલ-૧૦૨ દર્દીઓને રજા અપાતાં તેમજ આજની સ્થિતિએ સુરતમાં ૧ અને વડોદરામાં રિફરમાં રહેલાં ૩ દર્દીઓને બાદ કરાતાં રાજપીપળાની કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ હવે કુલ-૨૬ દરદીઓ સારવાર હેઠળ છે. ગઈકાલે ચકાસણી માટે મોકલાયેલ સેમ્પલ પૈકી આજે ૩૦ સેમ્પલના રિપોર્ટ નેગેટીવ આવ્યાં છે. જ્યારે ૧૬ સેમ્પલના રિપોર્ટ પેન્ડીંગ છે. આજે ચકાસણી માટે કુલ ૭૨ સેમ્પલ મોકલવામાં આવ્યાં છે.

પ્રાપ્ત થયેલ અહેવાલ મુજબ આજે નોંધાયેલ ૬ પોઝિટીવ કેસમાં રાજપીપળા શહેરના માલીવાડ વિસ્તારના રહીશ ૩૭ વર્ષિય એક મહિલા, ૯ વર્ષિય એક બાળકી, ૧૮ માસનો એક બાળક અને ૯ માસની એક બાળકી તેમજ દેડિયાપાડા તાલુકાના કેવડી ગામના રહિશ ૩૨ વર્ષિય એક મહિલા અને સામરપાડા ગામના રહિશ ૨૭ માસની એક બાળકીનો સમાવેશ થાય છે. આ દર્દીઓને રાજપીપલાની કોવીડ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ રાખવામાં આવ્યાં છે. આમ,આજની સ્થિતિએ નર્મદા જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસના કુલ-૨૬ દરદીઓ સારવાર હેઠળ છે.

પ્રાપ્ત થયેલ અહેવાલ મુજબ નર્મદા જિલ્લામાં તા.૧૮ મી જુલાઇ, ૨૦૨૦ ના રોજ આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ- ૫૧,૪૩૦ વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસીના ૫૯ દરદીઓ, તાવના ૪૩ દરદીઓ, ડાયેરીયાના ૩૬ દરદીઓ સહિત કુલ-૧૩૮ જેટલા દરદીઓ ઉકત ચકાસણી દરમિયાન મળી આવતાં આ દરદીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે. તેની સાથોસાથ આયુર્વેદિક ઉકાળાનો આજદિન સુધી ૮,૫૦,૦૭૭ લોકોએ લાભ લીધો હતો અને હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી ૩,૯૫,૦૯૬ લોકોને વિતરણ કરાઇ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here